નવજીવન ન્યૂઝ. રાજકોટઃ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીને લઈને અનેક જિલ્લાઓમાં બે વર્ષ બાદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ વર્ષે લોકમેળામાં અનેક દુર્ઘટના જોવા મળી છે. જેના કારણે અગાઉ બે લોકોના મોત પણ નિપજ્યા છે. ત્યારે ફરી એકવાર રાજકોટના મેળામાં દુર્ઘટના સર્જાઈ છે. મેળામાં આવેલા મોતના કૂવામાં ચાલુ કારે ટાયર નીકળી જતા કાર નીચે પટકાઈ હતી.
પાપ્ત વિગત અનુસાર, રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાયેલા લોકમેળામાં મોતના કૂવામાં દુર્ઘટના બની છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકમેળાના મોતના કૂવામાં શો ચાલી રહ્યો હતો. દરમિયાન એક કારમાં કરતબ ચાલી રહ્યા હતા. ત્યારે અચાનક જ ચાલુ કારે મોતના કૂવામાં કારનું ટાયર નીકળી ગયુ હતું. કારનું ટાયર નીકળી જતા કાર નીચે ખાબકી હતી. જોકે આ ઘટનામાં સદનસિબે કોઈ જાનહાની થઈ નથી.








