નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં ઝઘડા અને ચોરી સહિતના ગુનાઓ સતત વધતા હોય તેમ જણાય છે. ત્યારે તાજેતરમાં જ દેવાયત ખવડ નામના કલાકારે ભયંકર માર માર્યાની ઘટનાનો કથિત મામલો સામે આવ્યો હતો. એવામાં જનરેટર બદલવા મામલે થયેલી કથિત ઝઘડાની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે.
રાજકોટ શહેરના ટાગોર રોડ પર પાવર હાઉસ નામની જનરેટરની દુકાનમાં નોકરી કરતા વ્યક્તિને માર મારવાની ઘટના સામે આવી છે. જેમાં જનરેટર બદલવા માટેની માથાકૂટ કરી શો-રૂમમાં આવેલા વોટરપાર્કના સંચાલકે માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીએ આરોપી તરીકે સ્વામીના ગઢડા ગામ ખાતે વોટરપાર્કના માલિક હિતેષભાઈ સહિતના અજાણ્યા શખ્સોનું નામ લખાવ્યું હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાના કથિત સીસીટીવીના ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ભાળ મેળવવા પ્રયાસ કર્યા છે.
મવડી વિસ્તારની સ્વાશ્રય સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ અજીતભાઈ તાપળએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ પાવર હાઉસ નામના જનરેટરના શ રૂમમાં નોકરી કરે છે. જ્યારે તેઓ નોકરી પર હાજર હતા ત્યારે સ્વામીના ગઢડા ખાતે વોટરપાર્ક ચલાવતા હિતેષ છૈયા શો રૂમ પર આવ્યા હતા. જેમણે આઠ મહિના પહેલા જનરેટર ખરીદ્યું હતુ જે જનરેટર બદલી આપવા માટે તેમણે માગણી કરી હતી. પરંતુ જનરેટર પરત રાખી નવું નહીં આપવાનું જણાવતા તેઓએ રકઝક શરૂ કરી હતી. જે મામલે ઉશ્કેરાયેલા હિતેષભાઈ સહિતનાઓએ માથાકૂટ કરી શો રૂમમાં તોડફોડ કરી હતી. આરોપીઓએ શો રૂમમાં કોમ્પ્યુટર, કાચ સહિત રૂપિયા 45 હજારનું નુકશાન કર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








