નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગાંધી પરિવાર સાથે જોડાયેલા રાજીવ ગાંધી ફાઉન્ડેશન (RGF) અને રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ (RGCT)નું ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) લાઇસન્સ રદ કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે વિદેશી દાનમાં કથિત અનિયમિતતાના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, RGF અને RGCTમાં કથિત ગેરરીતિઓની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી CBIને સોંપવામાં આવે તેવી શક્યતા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આરજીએફના વડા છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ તેના સભ્યો છે.
સોનિયા ગાંધી આરજીસીટીના વડા પણ છે. રાહુલ ગાંધી અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ ડૉ અશોક એસ ગાંગુલી પણ તેના સભ્ય છે. કથિત અનિયમિતતાઓની તપાસ માટે વર્ષ 2020માં ગૃહ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી આંતર-મંત્રાલય સમિતિની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
RGF ની સ્થાપના વર્ષ 1991માં કરવામાં આવી હતી. RGF વેબસાઈટ અનુસાર ફાઉન્ડેશને 1991 થી 2009 દરમિયાન મહિલાઓ, બાળકો અને વિકલાંગ લોકોને સહાય પૂરી પાડવા ઉપરાંત આરોગ્ય, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને શિક્ષણ સહિત અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં કામ કર્યું હતું. વર્ષ 2010માં ફાઉન્ડેશને માત્ર શિક્ષણ ક્ષેત્રે જ કામ કરવાનો નિર્ણય લીધો હતો.








