નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દેશમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષ દ્વારા મેદાનમાં ઉતરેલા ઉમેદવાર યશવંત સિન્હાએ રવિવારે તમામ રાજકીય પક્ષોને ચૂંટણીમાં તેમને મત આપવા માટે અંતિમ અપીલ કરી હતી. NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ સામે મેદાનમાં ઉતરેલા યશવંત સિન્હાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, “આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણી બે ઉમેદવારો વચ્ચે નથી, પરંતુ બે વિચારધારાઓ વચ્ચેની લડાઈ છે.”
તેમણે કહ્યું કે, “તેઓ ભારતના લોકતંત્રના બચાવ માટે ઉભા છે, જ્યારે દ્રૌપદી મુર્મુને એવા લોકોનું સમર્થન છે જેઓ દરરોજ લોકશાહી પર હુમલો કરી રહ્યા છે.” યશવંત સિન્હાએ કહ્યું કે, “હું બિનસાંપ્રદાયિકતાના બચાવ માટે ઉભો છું, જે આપણા બંધારણનો આમુખ સ્તંભ છે. મારા પ્રતિસ્પર્ધી ઉમેદવાર એવા પક્ષમાંથી છે જેમણે આ સ્તંભને નષ્ટ કરવા અને બહુમતી સર્વોપરિતા સ્થાપિત કરવાના સંકલ્પ પર કામ કર્યું છે.”
યશવંત સિન્હાએ કહ્યું, “હું સર્વસંમતિ અને સહકારની રાજનીતિને પ્રોત્સાહિત કરવા ઉભો છું. મારા પ્રતિસ્પર્ધી ઉમેદવારને એવી પાર્ટીનું સમર્થન છે જે સંઘર્ષ અને ટકરાવની રાજનીતિ કરે છે.” બીજેપી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે જો તેમના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ભારતના આગામી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે, તો તે એવા લોકોના નિયંત્રણમાં રહેશે જેમનો ઉદ્દેશ્ય “લોકશાહી ભારતને સામ્યવાદી ચીનના અનુકરણમાં ફેરવવાનો છે.”
“એક રાષ્ટ્ર, એક પક્ષ, એક સર્વોચ્ચ નેતા. શું આને રોકવું ન જોઈએ? માત્ર તમે જ તેને રોકી શકો,” યશવંત સિન્હાએ કહ્યું. નોંધનીય છે કે શનિવારે તેમણે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો અને તમામ ધારાસભ્યો અને સાંસદોને તેમની શાણપણ મુજબ મતદાન કરવા વિનંતી કરી હતી. બ્યુરોક્રેટમાંથી રાજકારણી બનેલા યશવંત સિન્હાએ અટલ બિહારી વાજપેયી સરકારમાં વિદેશ મંત્રાલય અને નાણાં મંત્રાલય જેવા મહત્વના ખાતાઓ સંભાળ્યા હતા. સોમવારે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. જ્યારે ગુરુવારે મતગણતરી હાથ ધરાશે.








