કોમલ પટેલ (નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી): વિપ્રો આપણા દેશની જાણીતી કંપની છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં તેનું નામ છે અને 67થી વધુ દેશોમાં તેનું કાર્યક્ષેત્ર ફેલાયેલું છે. હાલમાં વિપ્રોએ 300 કર્માચારીઓને બરતરફ કરતાં આઇટી ક્ષેત્રમાં ચર્ચાનો માહોલ છે. આ વિશે મીડિયામાં ન્યૂઝ પણ આવ્યા એટલે તે વિશે વિપ્રોના એક્ઝ્યુકેટીવ ચેરમેન રીશદ પ્રેમજીએ જણાવ્યું કે, બરતરફ કરવામાં આવેલા કર્મચારીઓ અમારાં પે-રોલ પર હોવા છતાં અન્ય કંપની માટે કામ કરી રહ્યા હતા. કેટલાંક તો અમારાં હરિફો સાથે કામ કરી રહ્યા હતા. આ રીતે કામ કરનારાં કર્મચારી માટે ‘મૂનલાઇટિંગ’ શબ્દ પ્રયોજાય છે. મૂળે કર્મચારી પગાર આપતી કંપનીના બદલે તેની હરિફ કંપનીનુંય કામ કરે છે. ‘મૂનલાઇટિંગ’ શબ્દ એ માટે પણ ઉપયોગમાં લેવાય છે કારણ કે મહંદશે પ્રથમ નોકરી દિવસે કર્મચારી કરે છે અને રાતના સમયમાં તે બીજા માટે કામ કરે છે.
આઇટી ક્ષેત્રે મૂનલાઇટિંગ પ્રેક્ટિસની ચર્ચા એ માટે પણ થઈ રહી છે કારણ કે હજુ અઠવાડિયા પહેલા વિપ્રોની જેમ જ જાણીતી કંપની ઇન્ફોસિસે પણ પોતાના કર્મચારીઓને અન્ય કંપની માટે કામ કરવાની ના કહી હતી અને જો કોઈ આમ કરતું હશે તો તેને નોકરી પરથી બરખાસ્ત કરવા સુધીના પગલા લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ પૂરી ઘટના પ્રકાશમાં કેવી રીતે આવે તે વિશે ટીમ લિઝ ડિજિટલના સી. સુનિલે જણાવ્યું કે જો કર્માચારી બે જગ્યાએ કામ કરતો હોય તો તે પહેલાં પીએફ અકાઉન્ટથી પકડાઈ શકે. અને જો પીએફ અકાઉન્ટ બાબતે કર્મચારી સાવચેતી રાખે તો કંપની કે નોકરી રાખનાર ફર્મ સીધી બેંકમાં તે કર્મચારીના અકાઉન્ટની તપાસ કરી માહિતી મેળવી શકે છે કે જે-તે કર્મચારીને તેમનાં કંપની સિવાય બીજી કંપનીમાંથી કોઈ આવક થાય છે કે નહીં. આ સિવાય કંપનીના એચ.આર. ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ પણ કર્મચારીના ડેટાની હેરફેરથી તે તપાસ કરી શકે છે. આ બરતરફી કર્મચારીની અનૈતિક પ્રેક્ટિસ નામે કરવામાં આવી છે, પણ આ રીતે મસમોટી કંપની વર્ષોવર્ષ પોતાનો ઇજારો સ્થાપે છે અને તેમની અનૈતિક પ્રેક્ટિસને અવગણતી રહે છે.








