નવજીવન ન્યૂઝ, અમદાવાદ : મૉટર વાહન અકસ્માતના કેસોમાં અનેક મામલા વળતર (Motor Vehicle Accident Compensation) ની રકમના વિવાદને લઈને ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યા છે. આ વખતે વળતરની રકમ માટે ઈન્કમટેક્સ રિર્ટન કેન્દ્ર સ્થાને હતું. હાઇકોર્ટે (Gujarat High Court) સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વ્યક્તિનું અકસ્માતમાં મોત થાય છે તે તેના નિધન બાદ ફાઈલ કરવામાં આવેલું ITR વળતરની ગણતરી માટે કાયદેસરનો પુરાવો ગણાશે. હાઇકોર્ટે ટ્રિબ્યુનલના જૂના નિર્ણયમાં હસ્તક્ષેપ કરીને વળતરની રકમમાં મોટો વધારો કરી આશ્રિતોનું વળતર 34.53 લાખથી વધારીને 40,45,940 રૂપિયા કરવાનો હુકમ કર્યો છે. સાથે જ વીમા કંપનીને વધારાની રકમ 6 સપ્તાહમાં વ્યાજ સાથે જમા કરાવવા આદેશ આપ્યો છે.
વર્ષ 2017માં વસંતકુમાર નામના એક યુવકનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. મૃતક યુવક કરિયાણાનો વ્યવસાય કરતો હતો અને દર મહિને 30 હજારથી વધુની આવક મેળવતો હતો. મૃતકના પરિવારજનોએ વળતર માટે ક્લેમ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. જોકે, ટ્રિબ્યુનલે મૃત્યુ પછી ફાઈલ કરાયેલા ઈન્કમટેક્સ રિર્ટન (ITR) ને માનવાનો ઈનકાર કરી ઓછું વળતર મંજૂર કર્યું હતું. આ નિર્ણયથી નારાજ પરિવારે હાઈકોર્ટના દ્વાર ખખડાવતા જસ્ટિસે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું કે, મૃત્યુ પછી ફાઈલ કરાયેલું રિટર્ન પણ આવકને પ્રતિબિંબિત કરતો એક વૈધાનિક દસ્તાવેજ છે. મૃતકની આવકનું સાચું મૂલ્યાંકન જરૂરી છે કારણ કે તેના પર આખા પરિવારના વળતરનો આધાર હોય છે.








