પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ઉદ્ધવ ઠાકરે વિરૂધ્ધ બંડ પોકારનાર એકનાથ શિંદેનું જુથ બળવો પોકારી સુરત પહોંચી ગયુ ત્યાં સુધી મહારાષ્ટ્ર સ્ટેટ ઈન્ટેલીઝન્સ બ્યુરોને તેની ભનક સુધી આવી ન્હોતી. બળવાખોરમાં એકનાથ સહિત છ મંત્રીઓ પણ સામેલ છે, આ મંત્રીઓ સાથે ચોવીસ કલાકનો પોલીસ પહેરો રહેતો હતો. આ છ મંત્રીઓએ મુંબઈ છોડતા પહેલા પોતાના સલામતી રક્ષકોને પોતાનાથી અલગ કર્યા, આમ મંત્રી સલામતી રક્ષકને પોતાની અલગ કરે તેની સાથે જ સચિવાયલની સલામતી સંભાળતા અધિકારીએ એલર્ટ થવાની જરૂર હતી. આમ છતાં સ્ટેટ ઈન્ટેલીઝન્સ અને મીનીસ્ટર સીકયુરીટી એલર્ટ થવાની જરૂર હતી, પણ તેમને કઈક અમંગળ થઈ રહ્યુ છે તેવો અંદેશો આવ્યો જ નહીં.
એકનાથ શિંદેનો બળવો ખરેખર બળવો છે કે ઉદ્ધવ ઠાકરેની સ્ક્રીપ્ટ પ્રમાણે થઈ રહ્યુ છે તેવી અનેકોને આશંકા છે, કારણ એકનાથ જુથના બળવા પછી ઉદ્ધવ ઠાકરે સરકારે માહિતી નહીં મળવાની નિષફ્ળતા અંગે કોઈનો ખુલાસો માંગ્યો નથી. ચાલીસ કરતા વધુ ધારાસભ્યો ચુપચાપ મહારાષ્ટ્ર છોડી દે અને સ્ટેટ આઈબીને તેની ખબર જ પડે નહીં તે વાતમાં માલ નથી. એક તબ્બકે માની લઈએ કે ગુજરાતની જેમ મહારાષ્ટ્રના ધારાસભ્યો સાથે સલામતી રક્ષકો નથી પણ એકનાથ સહિત છ મંત્રીઓ સાથે તો ચોવીસ કલાક સલામતી રક્ષકની સાથે પોલીસ એસ્કોર્ટ પાર્ટી પણ રહે છે. મુંબઈ છોડતા પહેલા આ છ મંત્રીઓએ પોતાની સરકારી કાર અને પોતાની સાથે રહેલા સલામતી રક્ષકોનેને છોડી દીધા. આમ મંત્રીઓ સલામતી રક્ષક વગર નિકળ્યા છે તેવી જાણકારી પણ તેમના સલમાતી રક્ષકોએ કંટ્રોલ રૂમને આપી નહીં કે કંટ્રોલ રૂમને તેની માહિતી મળ્યા પછી મહારાષ્ટ્ર પોલીસ હરકતમાં આવી નહીં.
રાજકિય બળવાને બાજુ ઉપર રાખીએ તો પણ મંત્રીઓની સુરક્ષા સંભાળતી મુંબઈ પોલીસની જવાબદારી હતી કે તેમને ફાળવામાં આવેલા મંત્રીઓની સલામતી સામે કોઈ જોખમ ઉભુ થાય નહીં. ગૃહખાતુ સીધુ મુખ્યમંત્રીના તાબામાં આવે છે, તો પણ મહારાષ્ટ્રના પોલીસ કમિશનર દ્વારા આ બાબતથી મુખ્યમંત્રીને કેમ અવગત કરવામાં આવ્યા નહીં. આમ મહારાષ્ટ્રના છ મંત્રીઓ સલામતી વગર 35 ધારાસભ્યો સાથે મહારાષ્ટ્ર છોડે અને સરકારને તેની જાણ થાય નહીં તે બહુ આશ્ચર્યજનક બાબત છે. શિવસેનાનો જે મુળ સ્વભાવ છે તે પ્રમાણે શિવસેના પોતાના હિસાબ રોડ ઉપર જ પુરો કરે છે, હાલમાં મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરે જ છે, પોલીસ તેમના સીધા તાબામાં છે. આમ છતાં એકનાથ શિંદેના ઘર ઉપર મુંબઈ પોલીસનો પહેરો ગોઠવાઈ ગયો છે, જો ઉદ્ધવ ઠાકરેની નારાજગી હોય તો મુંબઈ પોલીસ શિંદે હાઉસને રક્ષણ આપવાની ગુસ્તાખી કરે નહીં આમ ઘણા પ્રશ્નના ઉત્તર બોલ્યા વગર જ મળી જાય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે 1996માં ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાએ આ જ પ્રકારે ભાજપની કેશુભાઈ પટેલ સરકાર સામે બંડ પોકારી 48 ધારાસભ્યનોને પોતાના ગામ વાસણીયા બોલાવી લીધા હતા ત્યારે પણ ગુજરાત સ્ટેટ આઈબી ઊંઘતી મળી હતી, ત્યાર બાદ શંકરસિંહ 48 ધારાસભ્યોને મધ્યપ્રદેશના ખજુરાહો મોકલી આપ્યા તેની આગોતરી જાણકારી મેળવવામાં પણ ગુજરાત આઈબી નિષ્ફળ રહી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











