નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: એલપીજી અને પીએનજીને લઈને ફેલાયેલી ગેરસમજ પર સરકારે સ્પષ્ટતા કરી છે. સરકાર મુજબ, તાજેતરની પ્રેસ બ્રિફિંગ દરમિયાન અનાયાસે એવું કહેવામાં આવ્યું હતું કે 3.75 લાખથી વધુ પીએનજી ગ્રાહકોએ એલપીજી કનેક્શન સરેન્ડર કર્યા છે. પરંતુ હકીકતમાં આ આંકડો એવા ગ્રાહકોનો છે જેમણે એલપીજીમાંથી પીએનજીમાં શિફ્ટ કર્યું છે.
સરકારે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં માત્ર 41,000થી વધુ પીએનજી ગ્રાહકોએ જ તેમના એલપીજી કનેક્શન સરેન્ડર કર્યા છે. આ સ્પષ્ટતા બાદ ગ્રાહકોમાં રહેલી ગૂંચવણ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ સાથે જ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને દેશભરમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની પૂરતી અને સતત ઉપલબ્ધતા હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કંપનીએ જણાવ્યું કે તેની સપ્લાય ચેઇન મજબૂત છે અને પેટ્રોલ-ડીઝલની સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય અને નિરાંત છે.
કંપનીના આંકડા મુજબ, 1 એપ્રિલથી 21 એપ્રિલ 2026 દરમિયાન પેટ્રોલ અને ડીઝલની વેચાણમાં 13%થી વધુનો વધારો નોંધાયો છે. દેશભરના 42,000થી વધુ પેટ્રોલ પંપના નેટવર્ક દ્વારા વધતી માંગને પૂરી કરવામાં આવી રહી છે.
બીજી તરફ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની શક્યતાઓ અંગે ફેલાતી અફવાઓને પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે ‘ફેક ન્યૂઝ’ ગણાવી નકારી કાઢી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં આવી કોઈ પ્રસ્તાવ પર વિચારણા ચાલી રહી નથી.
સરકારે ચેતવણી આપી છે કે આવી ભ્રામક માહિતી લોકોમાં અનાવશ્યક ભય ફેલાવવા માટે ફેલાવવામાં આવે છે. નાગરિકોને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું કે વૈશ્વિક બજારમાં ઊથલપાથલ હોવા છતાં ભારતે છેલ્લા ચાર વર્ષથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સ્થિરતા જાળવી રાખી છે. આ માટે સરકાર અને પબ્લિક સેક્ટરની તેલ કંપનીઓએ અનેક પગલાં લીધા છે.
આ પગલાં હેઠળ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર 10 રૂપિયાની એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. જ્યારે ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ જેવી કંપનીઓને પેટ્રોલ અને ડીઝલ વેચાણમાં નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
સરકારે આવકમાં થયેલા નુકસાનની ભરપાઇ માટે ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પર એક્સપોર્ટ ટેક્સ લાગુ કર્યો છે તેમજ વિન્ડફોલ ટેક્સ પણ અમલમાં મૂક્યો છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના જણાવ્યા મુજબ, આ તમામ પગલાંનો હેતુ આંતરરાષ્ટ્રીય ભાવ વધારાના પ્રભાવથી દેશના નાગરિકોને બચાવવાનો છે.








