નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ અને બોટાદમાં 27 તારીખની સાંજે કથિત રીતે લઠ્ઠાકાંડ થયો હોવાના અહેવાલ સામે આવ્યા હતા. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 57 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને 97 જેટલા લોકો હજુ પણ સારવાર લઈ રહ્યા છે. સામાન્ય રીતે આ ઘટના માટે લોકો પોલીસને જવાબદાર ગણી રહ્યા છે ત્યારે આજે ગૃહ વિભાગ દ્વારા આ ઘટના માટે કેટલાક અધિકારીઓની જવાબદારી નક્કી કરીને તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે.
સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ આ ઘટનાના સંદર્ભે અમદાવાદ અને બોટાદ જિલ્લા એસપી વિરેન્દ્રસિંહ યાદવ અને કરણરાજ વાઘેલાની બદલી કરી દેવામાં આવી છે, અમદાવાદ એસપીને અમદાવાદ મેટ્રો સિક્યુરિટીના કમાન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને બોટાદ એસપીને સરકારી મિલકતના સંરક્ષણ વિભાગના કમાન્ડન્ટ તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે બોટાદ અને ધંધુકા નાયબ નાયબ પોલીસ અધિક્ષક એન. વી. પટેલ અને એસ. કે. ત્રિવેદીને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ધંધુકાના PI કે. પી. જાડેજા, બરવાળાના PSI બી. જી. વાળા અને રાણપુરના PSI રાણાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે એક ચોંકાવનારી બાબત એ પણ છે કે ગુજરાતના ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે લઠ્ઠાકાંડમાં કોઈ આઈપીએસ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી હોય, અત્યાર સુધી મોટા ભાગે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ પદ પરના કર્મચારીઓ કે પીઆઈ, પીએસઆઈ પદ પરના અધિકારીઓ સુધીની કાર્યવાહી થતી જોવા મળતી હતી.
અહિયાં એક મહત્વની બાબત એ છે કે ધંધુકાના DySP એસ. કે. ત્રિવેદીએ તાજેતરમાં જ સ્વૈચ્છીક નિવૃત્તિ માટે અરજી કરી હતી જે સ્વીકારી પણ લેવામાં આવી હતી, આગામી 30 તારીખે તેઓ નિવૃત્ત થઈ રહ્યા હતા ત્યારે આજે 28 તારીખે જ તેમને સસ્પેન્ડ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.
![]() |
![]() |
![]() |











