નવજીવન ન્યૂઝ. ભાવનગર: ભાવનગરના રાજકારણમાં ચર્ચાનો વિષય બનેલા શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલના કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ રાહત આપી છે. કોંગ્રેસના જ એક ઉમેદવારના અપહરણના આરોપસર નોંધાયેલી એફઆઈઆરને પડકારતા અદાલતે લાલભા ગોહિલને હાલ પૂરતી ધરપકડ સહિતની કડક કાર્યવાહીથી રક્ષણ આપ્યું છે.
હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રને નોટિસ પાઠવીને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે આ કેસમાં આગામી સુનાવણી સુધી કોઈ દંડાત્મક પગલાં ન ભરવામાં આવે. આ નિર્ણયથી ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો વધ્યો છે.
હાઈકોર્ટના આદેશ બાદ લાલભા ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, “આવી બાબત હાસ્યાસ્પદ છે કે કોઈ પ્રમુખ પોતાના જ ઉમેદવારનું અપહરણ કરાવી શકે. ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ હોવાથી આવી નીચી કક્ષાની રાજનીતિ કરી રહી છે.” તેમણે ઉમેર્યું કે લોકશાહીમાં તંદુરસ્ત સ્પર્ધા હોવી જોઈએ અને હાર સ્વીકારવાની ક્ષમતા પણ હોવી જરૂરી છે.
હાઈકોર્ટે મામલાની આગળની સુનાવણી આગામી દિવસોમાં રાખી છે. હાલ માટે મળેલી આ રાહત કોંગ્રેસ માટે મનોબળ વધારનારી માનવામાં આવી રહી છે. બીજી તરફ, હવે પોલીસ હાઈકોર્ટની નોટિસનો શું જવાબ આપે છે અને આગળ શું વલણ અપનાવે છે તે પર સૌની નજર રહેશે.
આ હાઈપ્રોફાઇલ કેસને લઈને ભાવનગર શહેરમાં રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે. કોંગ્રેસના વર્તૂળોમાં સ્પષ્ટ ચર્ચા છે કે પોલીસે ભાજપના ઈશારે આ ધરપકડ કરી અને હવે હાઈકોર્ટના વલણથી પોલીસને ખભો આપવો જ ભારે પડી ગયો છે.








