નવજીવન ન્યૂઝ.કચ્છઃ ગુજરાત બોર્ડર પર ઘણી વખત આપણા માછીમારો પાકિસ્તાનના હાથે ચઢી જતા હોય છે તો ઘણી વખત પાકિસ્તાની માછીમારો અહીં પકડાતા હોય છે. સતત આવી ઘટનાઓ બની રહી છે ત્યારે હાલમાં વધુ એક આવી ઘટના બની રહી છે. ગત મધરાત્રે પાકિસ્તાની માછીમારો બીએસએફના સર્ચ ઓપરેશન દરમિયાન હરામીનાળા વિસ્તારમાંથી ઝડપાયા હતા. જોકે સુરક્ષાને ધ્યાને રાખી બીએસએફ દ્વારા મોડી રાત્રે અન્યત્ર તપાસ હાથ ધરવામાં આવી હતી.
હરામીનાળા વિસ્તારમાં ઘણી વખત પાકિસ્તાનથી ઘૂસણખોરીના ઘણા બનાવો બનતા આવ્યા છે. હથિયારો, નશા માટેની ચીજવસ્તુઓ, વગેરે કે જે ભારતને નુકસાન કરી શકે તેવી વસ્તુઓને કારણે ઘણો સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવે છે. આ બધા દુષણોને દેશની દુર રાખવા માટે ગુજરાતની વિવિધ બોડર પર તૈનાત સૈનીકો સતત કાર્યરત રહે છે.
આવી જ રીતે ગત રાત્રે લગભગ 11.40ના સુમારે કચ્છના હરામીનાળા વિસ્તાર ખાતેથી બે પાકિસ્તાની માછીમારને બીએસએફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ વિસ્તારમાં છ જેટલા માછીમારો અને બોટની હિલચાલ જોવા મળી હતી જોકે રાત્રીના અંધકારમાં નલિયા એરફોર્સ સ્ટેશનની મદદથી બીએસએફ દ્વારા યુએવી મિશન પાર પાડવામાં આવ્યું હતું. 900 ચો.કિ.મી.માં ફેલાયેલા હરામીનાળા વિસ્તારમાં બીએસએફ ભુજ દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું. પકડાયેલા માછીમારોમાં એકનું નામ યાસીન શેખ (ઉં.વ. 35) રહે પાકિસ્તાન અને બીજાનું નામ મહોમ્મદ શેખ (ઉં.વ.) રહે પાકિસ્તાન હોવાની વિગતો મળી રહી છે. હવે બીએસએફ વધુ બીજા ઘુસણખોરોની તપાસમાં છે.








