નવજીવન નવીદિલ્હી: ભારતીય એરોસ્પેસ એન્જિનિયર અને રોકેટ વૈજ્ઞાનિક ડૉ. એસ સોમનાથને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સોમનાથ કૈલાસવદિવૂ સિવાનનું સ્થાન લેશે. કૈલાસવદિવૂ સિવાન શુક્રવારે કાર્યકાળ પૂરો કરી રહ્યા છે.
કેન્દ્રએ બુધવારે ડૉ. એસ. સોમનાથને અવકાશ વિભાગના સચિવ અને સ્પેસ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. કર્મચારી મંત્રાલયના આદેશમાં કહેવામાં આવ્યું છે કે તેમની નિમણૂક પોસ્ટમાં જોડાયાની તારીખથી ત્રણ વર્ષની સંયુક્ત મુદત માટે છે. જેમાં જાહેર હિતમાં નિવૃત્તિની ઉંમર પછીના કાર્યકાળમાં વિસ્તરણનો સમાવેશ થાય છે. સોમનાથ લોંચ વ્હીકલ સિસ્ટમ એંજિનયરિંગ, સ્ટ્રક્ચર ડીઝાઈન સ્ટ્રક્ચર ડાયનેમિક્સ,એંટીગ્રેશન ડિઝાઇન મેકેનીજ્મ ડિઝાઇન અને પાયરોટેક્નિકમાં નિષ્ણાત છે.
સોમનાથનો જન્મ જુલાઈ 1963માં થયો હતો. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી બીજા સ્થાન સાથે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. તે જ સમયે, તેમણે ભારતીય વિજ્ઞાન સંસ્થાન બેંગ્લોરમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડલ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. હાલમાં ડૉ. સોમનાથ કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ના ડિરેક્ટર છે. તેઓ તેમની કારકિર્દીની શરૂઆતમાં પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ (PSLV)ના એકીકરણ માટે ટીમ લીડર હતા.
તેમણે બુધવારે જણાવ્યું હતું કે ખાનગી કંપનીઓને વ્યવસાયની તકો પૂરી પાડવા માટે ભારતીય અવકાશ ક્ષેત્રને વિકસાવવાની જરૂર છે અને ભાવિ પેઢીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારતીય અવકાશ કાર્યક્રમમાં પણ ફેરફાર કરવાની જરૂર છે. અવકાશ બજેટને વર્તમાન રૂ. 15,000-16,000 કરોડથી વધારીને રૂ. 20,000-50,000 કરોડથી વધુ કરવાની જરૂરિયાત વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, સ્પેસ બજેટમાં વધારો માત્ર સરકારી ભંડોળ અથવા સમર્થનથી જ ન થઈ શકે. જેમ દૂરસંચાર અને હવાઈ મુસાફરી જેવા ક્ષેત્રોમાં જે ફેરફારો થયા છે, એવા જ ફેરફારો અહીં પણ થવા જોઈએ. આનાથી રોજગારીની વધુ તકો ઊભી થઈ શકે છે, સંશોધન અને વિકાસ વધી શકે છે.
![]() |
![]() |
![]() |











