નવજીવન ન્યૂઝ. અમદાવાદ : રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ(Gujarat Tourism) દ્વારા દર વર્ષે પતંગ મહોત્સવ(International Kite Festival 2023)નું આયોજન કરવામાં આવે છે. જોકે છેલ્લા બે વર્ષથી મહામારીના કારણે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ન હતું. ત્યારે બે વર્ષ બાદ ફરી આજથી સાબરમતીના કાંઠે રિવરફ્રન્ટમાં પતંગ મહોત્સવ યોજાશે. પતંગ મહોત્સવમાં 53 દેશના 660 પતંગબાજો સ્પર્ધામાં ભાગ લેશે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું ઉદ્દઘાટન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે 8 જાન્યુઆરીના રોજ સવારે 8 કલાકે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ હાજર રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023નું G-20ની થીમ પર આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગ મહોત્સવમાં G-20 દેશોના પતંગબાજો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આજથી શરૂ થયેલા આતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આવતા એક અઠવાડિયા સુધી એટલે કે 8થી 14 જાન્યુઆરી સુધી ચાલશે. આ પતંગ મહોત્સવમાં યુકે, સાઉથ કોરિયા, ન્યુઝીલેન્ડ, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા સહિતના 53 દેશોની પતંગો પણ પ્રદર્શિત કરવામાં આવશે સાથે જ પતંગના સદીઓ જૂના ઈતિહાસને પણ જીવંત બતાવવામાં આવશે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, વડોદરા, વડનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા, સુરત સોમનાથ રાજકોટ, ધોલેરા, સફેદ રણ ખાતે પણ કાઈટ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યુ છે. જ્યાં વિદેશોના પતંગબાજો પરફોર્મ કરશે.

આતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ તારીખ 8 થી 14 જાન્યુઆરી દરમિયાન દરરોજ સવારે 10થી 5 વાગ્યા સુધી રિવરફ્રન્ટ ખાતેના વલ્લભસદનમાં પતંગબાજો દ્વારા પતંગ ઉડાવવામાં આવશે. સાથે જ તારીખ 8 થી 13 જાન્યુઆરી દરમિયાન દરરોજ સાંજે 7 થી 9 કલાક સુધી સાંસ્કૃત્તિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ પ્રવાસન અને યાત્રાધામનાં સ્થળોએ કાઈટ ફેસ્ટીવલનું આયોજન કરાયું છે. 9 જાન્યુઆરીએ વડોદરા અને વડનગર, 10 જાન્યુઆરીએ કેવડિયા કોલોની-નર્મદા અને દ્વારકા, 11 જાન્યુઆરીએ સુરત અને સોમનાથ, 12 જાન્યુઆરીએ રાજકોટ અને ધોલેરા તેમજ 13 જાન્યુઆરીએ સફેદ રણ-ધોરડો-કચ્છ ખાતે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

Tag: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023 International Kite Festival 2023 in Ahmedabad
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








