નવજીવન ન્યૂઝ. સુરત: ઓલપાડ તાલુકાના કઠોદરા ગામમાંથી દેશી દારૂની ભઠ્ઠી ચાલુ છે તેવા સમાચાર એક ન્યૂઝ ચેનલ ઉપર પ્રસિધ્ધ થયા હતા. આ સમાચારને પગલે જિલ્લા પોલીસ વડાએ કીમ પોલીસ મથકના PSI પી. જે. પંડ્યા સહિત ત્રણ પોલીસ કર્મીઓ ઉપર ફરજ મોકુફી હુકમનો કોરડો વિંઝતા પોલીસ બેડામાં ફફડાટનો માહોલ ફેલાયો છે.
પ્રાથમિક માહિતી મુજબ અમદાવાદ અને બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લેવાતા વિપક્ષ એક્શન મૂડમાં આવીને સરકાર ઉપર માછલાં ધોઈ રહ્યા છે. જેના પગલે રાજ્ય સરકારે રાજ્યના પોલીસ મથકની હદમાંથી દારૂના દૂષણને ડામવા પોલીસ અધિકારીઓને કડક સૂચના આપી હોવા છતાં પોલીસ તંત્ર આળસ કરી રહ્યું છે. જ્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ પોલીસ મથકની હદ વિસ્તારના કઠોદરા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાના સમાચાર એક ન્યૂઝ ચેનલ ઉપર પ્રસિધ્ધ થયા હતા.
આ સમાચાર મામલે સુરત જિલ્લા પોલીસ વડાએ વિભાગીય પોલીસ અધિકારી મારફત પ્રાથમિક તપાસ કરાવી હતી. જે સમાચારમાં તથ્ય જણાતા જિલ્લા પોલીસ વડાએ કીમ PSI પી. જે. પંડ્યા, હેડ કોન્સ્ટેબલ અનિલ વસંત અને હેડ કોન્સ્ટેબલ નિલેશકુમાર રામુભાઈને પ્રોહિબિબીશનની પ્રવૃતિને નાબુદ કરવામાં નિષ્ફળ જણાતા તાત્કાલિક ફરજ મોકુફનો હુકમ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે લઠ્ઠાકાંડના સંદર્ભમાં અમદાવાદ અને બોટાદમાં પણ અધિકારીઓએ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. જોકે લોકમુખે ચર્ચાઇ રહ્યું છે કે ગુજરાતમાં દારૂબંધીની નિષ્ફળતા માટે ખાલી પોલીસ જ જવાબદાર છે કે આમાં સરકારની પણ ભાગીદારી છે?
![]() |
![]() |
![]() |











