નવજીવન રાજકોટઃ હાલમાં જ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની વરણી થઈ છે. જે પ્રમુખ પદ્દની રેસમાં પાટીદાર અનામત આંદોલનથી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદ સુધી પહોંચનાર હાર્દિક પટેલ, અગાઉ પ્રમુખ રહી ચુકેલા ભરતસિંહ સોલંકી સહીત ઘણા નામો ચાલી રહ્યા હતા. જોકે હવે જ્યારે નવા પ્રમુખ મળી ગયા છે ત્યારે આગામી ચૂંટણીમાં રણનીતિ પણ કોંગ્રેસ માટે એટલી જ મહત્વની બની ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહે આજે ખોડલધામ ખાતે મુલાકાત કરી હતી. જોકે અહીં નોંધવા જેવી બાબત એ હતી કે મોટા ભાગે નેતાઓ પહેલા અહીં દર્શન કરે છે અને પછી બેઠક, પણ અહીં ક્રમ અલગ રહ્યો હતો પહેલા બેઠક થઈ હતી અને પછી માતાજીના સામે શિશ ઝુકાવ્યું હતું.
પાટીદાર સમાજના આસ્થાના પ્રતિક ખોડલધામની મુલાકાતે આવેલા ભરતસિંહ સોલંકીએ અહીં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક કરી હતી જે પછી તેમણે માતાજીના દર્શન કર્યા હતા. આમ તો સામાન્ય દિવસોમાં પણ અહીં લોકો દર્શનાર્થે આવે છે. જોકે આજે ખોડલધામમાં ભરતસિંહ સોલંકી આવ્યા ત્યારે તેમની અને નરેશ પટેલની બેઠક ચર્ચામાં રહી હતી. અગાઉ ઘણા નેતાઓ અહીં આવી ચુક્યા છે પરંતુ અહીં સ્થિતિ જુદી જોવા મળતા વિવિધ ચર્ચાઓનું વંટોળ શરૂ થઈ ગયું છે જેમાં આગામી ચૂંટણીના સંદર્ભ પણ જોવા મળ્યા હતા.








