22 children die of Chandipura virus in Gujarat : છેલ્લાં કેટલાંક સપ્તાહોથી રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને ગ્રામીણ વિસ્તારના લોકોમાં ચિંતા સાથે ભયનો માહોલ (Atmosphere of fear and anxiety over Chandipura virus) છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રીએ આ મામલે કેટલીક સ્પષ્ટતા કરી છે. રાજ્યમાં સામે આવેલા કુલ 184 શંકાસ્પદ કેસ પૈકી 35 ચાંદીપુરા કેસ પોઝિટિવ છે અને 11ના પરિણામો આવવાના બાકી તેવું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા (Praful Pansheriya) એ જણાવ્યું છે. ચાંદીપુરા વાયરસથી 22 બાળકોના મોત થયા હોવાનું સરકારે કબૂલ્યું છે.
ચાંદીપુરા વાયરસને લઈને રાજ્યની હોસ્પિટલોમાં કેટલા બાળ દર્દી સારવાર હેઠળ છે અને કેટલાને રજા આપવામાં આવી તેની માહિતી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આપી છે. અત્યાર સુધીમાં નોંધાયેલા શંકાસ્પદ કેસોમાંથી 22 બાળકોના ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયા છે. હાલ રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલોમાં 7 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 6 પોઝિટિવ દર્દીની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ ગાંધીનગર, સાબરકાંઠા-હિંમતનગર, પાટણ, રાજકોટ અને ભાવનગરની સિવિલ હોસ્પિટલોમાં દાખલ તમામ બાળકોને સારવાર અપાઈ રહી છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ચાંદીપુરા વાયરસ સામે કોઈ ચોક્કસ રસી કે ચોક્કસ દવા ઉપલબ્ધ નથી. જેને ધ્યાને રાખીને તબીબો અને સંશોધકોની વિશેષ ટીમ દ્વારા વૈજ્ઞાનિક ઢબે આ વાયરસ માટેની રસી અને અસરકારક દવાની શોધ માટે સંશોધન થઈ રહ્યું છે.
ચાંદીપુરા વાયરસના કેસ રાજ્યમાં કોઈ એક ચોક્કસ સ્થળે કે ગામમાંથી જ નોંધાયા નથી, પરંતુ વિવિધ વિસ્તારોમાંથી કેસો સામે આવી રહ્યા છે. જેને પગલે આરોગ્ય વિભાગની ટીમો ગ્રાઉન્ડ લેવલે કામગીરી કરી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા માટી કે કાચા મકાનોની તિરાડો પૂરવા માટે સલાહ આપી છે. તેમજ પશુપાલન ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, તમામ સરકારી અને ખાનગી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, વાયરસના લક્ષણો ધરાવતા દર્દીઓને તાત્કાલિક ઓક્સિજન અને વેન્ટિલેટર સુવિધા ધરાવતા ICU બેડમાં દાખલ કરીને સારવાર શરૂ કરવી, જેથી ‘મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર’ જેવી ગંભીર સ્થિતિ અટકાવી શકાય.








