નવજીવન ઓખાઃ ભારત અને પાકિસ્તાન એક તરફથી દરિયા દ્વારા જોડાયેલા છે. જેના કારણે ઘણી વાર બંને દેશોના માછીમારો એક બીજાની સીમામાં ઘુસી જતા હોય છે જેમને જે તે દેશની સુરક્ષા એજન્સી દ્વારા માછીમારોને પકડી લેવામાં આવે છે. જેમાં ઘણી વાર કેટલાક નિર્દોષ માછીમારો પણ ફસાઈ જતા હોય છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દરિયાકાંઠા પરથી ડ્રગ્સ ઘુસાડવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કોસ્ટ ગાર્ડ દ્વારા પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યુ છે. જેના પગલે પોરબંદરમાં ભારતીય જળ સીમામાં ઘુસી આવેલી બે બોટ અને 18 માછીમારોને કોસ્ટ ગાર્ડ દ્વારા પકડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ભારતીય કોસ્ટ ગાર્ડનું અરીજય જહાજ પેટ્રોલીંગમાં હતું તે દરમિયાન બે પાકિસ્તાની બોટ અને 18 માછીમારોને પકડ્યા હતા. માછીમારોને પકડીને ઓખા લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો છે. ભારતીય જળ સીમામાંથી પાકિસ્તાની બોટ સાથે મોટી સંખ્યામાં માછીમારો પકડાતા તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ આવી છે. આ માછીમારોનું જોઈન્ટ ઈન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે અને પોલીસ સ્ટેશમાં તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઈન્ટ્રોગેશન બાદ જ તેઓ ખરેખર માછીમાર છે કે ઘુસણખોર તેની હકીકત બહાર આવશે.
ઉલ્લેખનીય છે કે ઘણીવાર ભારતના પણ કેટલાક માછીમારો આવી રીતે દરિયામાં સીમાની કોઈ ચોક્કસ માહિતી ન હોવાને કારણે પાકિસ્તાનની સીમામાં ઘુસી જતા હોય છે અને પાકિસ્તાની સુરક્ષા એજન્સી દ્વારા ભારતના માછીમારો સાથે પણ આવી જ કાર્યવાહી કરવામાં આવે છે. જો કે બંને દેશો હંમેશા આ વાતને લઈને એક બીજા ઉપર ઘુસણખોર ઘુસાડવાના આક્ષેપ કરતા રહે છે, પણ અહીં ખરેખર માછીમારોને એક નક્કર દીશા નિર્દેષની જરૂર છે જેનાથી બોર્ડરની ઓળખ થઈ શકે.








