નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં આગામી વિધાનસભા પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત છે તો બીજી બાજુ કોંગ્રેસ દિવસેને દિવસે તૂટતી જોવા મળી રહી છે. તેવામાં ગુજરાત કોંગ્રેસને ફરીથી બેઠી કરવા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓના દિલ્હીના ચક્કર વધી ગયા છે. જો કે ગઇકાલે દિલ્હીમાં યોજાયેલી મિટિંગમાં હાઈકમાંડ તરફથી સ્પષ્ટ પણ આદેશ આપી દેવામાં આવ્યો છે કે જે રીતે રણનીતિ ઘડવી હોય એમ ઘડો, પરંતુ અમારે તો પરિણામ જોઈએ છે. તેવામાં ગુજરાત કોંગ્રેસે 7 નેતાઓની કાર્યકારી પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે.
કોંગ્રેસના હાઈકમાંડ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ખાલી પડેલી વિવિધ પદો પર નિયુક્તિ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખોની નિમણૂકની દરખાસ્તને કોંગ્રેસ પ્રમુખે તાત્કાલિક અસરથી મંજૂરી આપી છે. દરખાસ્ત મુજબ ગુજરાતમાં હવે સાત કાર્યકારી પ્રમુખ હશે. આ મામલે આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. જે ધારાસભ્યોને કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે તેમાં લલિત કગથરા, જીજ્ઞેશ મેવાણી, રૂત્વિક મકવાણા, અંબરીશ ડેર., હિંમતસિંહ પટેલ, કાદીર પીરઝાદા અને ઈન્દ્રવિજયસિંહ ગોહિલને કાર્યકારી પ્રમુખનું પદ અપાયું છે.
ગુજરાતમાં આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની કામગીરીને લઈને કેટલાક નેતાઓની નારાજગી સામે આવી હતી. નારાજ થયેલા કેટલાક નેતાઓ ભાજપમાં જોડાઈ જતાં હાઈકમાન્ડે પણ પ્રભારી રઘુ શર્માની કામગીરીથી નારાજ થયા હતા. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને બેઠી કરવા માટે સંગઠનને મજબૂત બનાવવા હાઈકમાન્ડે કડક સૂચના આપી છે.









