Friday, May 1, 2026
HomeGujaratડાઈંગ ડેકલેરેશન ધારાવાહીકના 1.10 લાખ વાંચકોનો નવજીવન ન્યૂઝ આભાર માને છે

ડાઈંગ ડેકલેરેશન ધારાવાહીકના 1.10 લાખ વાંચકોનો નવજીવન ન્યૂઝ આભાર માને છે

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): સત્ય કયારેય સપાટ હોતુ નથી, સત્યના અનેક ખુણા હોય છે, બિલ્કીશ બાનુ કેસમાં પણ તેવું જ કંઈક છે. 2002ના તોફાનમાં જે કંઈ બન્યું તેને સામાન્ય માણસ તો કદાચ ભુલી જાય પણ જેમને વિત્યું છે, તેમની પેઢીઓ સુધી તેઓ આ એક બીહામણા સ્વપ્નને ભુલી શકે તેમ નથી. 2002ના તોફાનમાં હિન્દુઓ પણ મર્યા અને મુસ્લિમો પણ મર્યા છે. જેમણે નરસંહાર કર્યો તેમને માફ કરી શકાય નહીં. જેલમાં ગયા તેમણે ગુનો કર્યો હતો અને જેઓ જેલમાં નથી ગયા તેઓ નિદોર્ષ છે તેવું માની લેવું પણ ભુલ ભરેલું છે. હું વ્યકિતગત રીતે સાક્ષી રહ્યો છું કે જેમને આખી ઘટના સાથે દુર દુર સુધી કોઈ સંબંધ નથી તેવા અનેકોને મેં જેલમાં જોયા છે.

બિલ્કીશ બાનુ કેસમાં જે બન્યું તે માત્ર બિલ્કીશ જ નહીં કોઈ પણ સંવેદનશીલ માણસ ભુલી શકે નહીં, પરંતુ મારી અને તમારી સામે જે સત્ય આવ્યું તે બિલ્કીશનું સત્ય હતું, કોર્ટમાં કેસ ચાલ્યો અને આરોપીઓને સજા થઈ. જેમાં પોલીસ અધિકારીઓ પણ સામેલ હતા, પણ બિલ્કીશના સત્યનો એક ખુણો હતો પરંતુ બીજા ખુણાનું સત્ય શું હતું, બિલ્કીશ બાનુ કેસમાં જેલની ચાર વર્ષ સજા ભોગવી ચુકેલા પોલીસ ઈન્સપેકટર ઈદ્રીશ સૈયદનું સત્ય બિલ્કીશ કરતા વિપરિત હતું, ઈદ્રીશ સૈયદ ચાર વર્ષ જેલમાં રહ્યા અને પોતે નિદોર્ષ છે તેવું સાબીત કરવાની લડાઈ લડતા લડતા બે વર્ષ પહેલા તેમનું નિધન થયું કોઈ સત્ય આખરી સત્ય હોતું નથી સમયાંતરે સત્ય પણ નવા આકાર સાથે સામે આવતું હોય છે.

- Advertisement -

અમે કોઈ દાવા પ્રતિદાવાનો વિરોધ કે સમર્થન કરતા નથી, પણ બિલ્કીશનું જે સત્ય સામે આવ્યું તેની સામે જેલની સજા ભોગલી ચુકેલા ઈન્સપેકટર ઈદ્રીશ સૈયદનું સત્ય શું હતું તે લોકો સામે મુકવાનો પ્રયાસ હતો. દસ હપ્તાની ધારાવાહીક રૂપે ઈદ્રીશ સૈયદની જુબાની તેમની કહાની અમે ડાઈંગ ડેકલેરેશન રૂપે મુકી નવજીવન ન્યૂઝના 1.10 લાખ વાચકોના અમે આભારી છે જેમણે આ ધારાવાહીક વાંચી અને પોતાના અભિપ્રાયો આપ્યા. સત્યના બીજા પહેલુને દર્શાવવાનો અમે સતત પ્રયાસ કરતા રહીશું. એક નવી વાત અને નવા વિષય સાથે ફરી મળીશું.

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular