નવજીવન ન્યૂઝ. વડોદરાઃ ગુજરાતમાં છેલ્લા ઘણા દાયકા રામ મંદિર ચૂંટણીનો સળગતો મુદ્દો રહ્યો છે. ધર્મનો મુદ્દો હંમેશા રાજકારણીઓનો સૌથી પ્રિય રહ્યો છે. હવે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોય ત્યારે કોંગ્રેસ હોય કે ભાજપ આ મુદ્દો કેવી રેતી ભુલી શકે.? કોંગ્રેસના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકીએ રામ મંદિર અંગે નિવેદન આપતા ફરી એકવાર વિવાદ સર્જાયો છે.

ધોળકાના વટામણમાં પ્રદેશ કોંગ્રેસે વિશાળ ઓબીસી સંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં અગ્રણી નેતા ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું હતું કે, ‘રામના નામે લોકોને છેતરવાનું કામ કર્યું છે. રામ મંદિર માટે ભેગી કરેલી શિલાઓ પર શ્વાન પેશાબ કરતા હતા. જે લોકો રામને છેતરે તે આપણને છેતર્યા વગર રહે ખરા?’ ભરતસિંહના નિવેદન બાદ ભાજપના નેતાઓએ પ્રતિઉત્તર આપ્યા હતા.
પાદરા ખાતે આજે વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કોંગ્રેસના નેતા પર આક્ષેપ કરતા જણાવ્યું કે, ગઇકાલે કોંગ્રેસ ગુજરાતના આગેવાને રામ મંદિર અંગે નિવેદન આપ્યું હતું. તેનાથી લાગે છે કે તેમને મેન્ટલ હોસ્પિટલમાં લઇ જઇ ચેક અપ કરાવવાની જરૂર છે. તેમના નિવેદનથી હિન્દુ ધર્મના ભાઇ-બહેનોની લાગણીઓ સાથે રમત રમવાનું બંધ કરે તેમને હું અંહીથી ચેતવણી આપું છું કે જો આવા પ્રયત્ન વારંવાર કરશો તો આ હિન્દુધર્મના ભાઇ-બહેનો તેમને પાઠ ભણાવશે. તેમનામાં જો હિંમત હોય તો હિન્દુ ધર્મના મંદિરો સિવાય અન્ય ધર્મ સ્થાનો છે તેના માટે નિવેદન કેમ નથી આપતા?, અન્ય ધર્મના સ્થાનોમાં પણ કુતરાઓ ફરતા હોય છે ત્યાં તેઓ નૈસર્ગિક પ્રક્રિયા કરતા હોય છે, આ નિવેદન આપે તો તે મર્દ છે.
હિન્દુ ધર્મના ભાઇ-બહેનો સહિષ્ણુ છે તેઓ ઝડપથી નિવેદન આપતા નથી પરંતુ જ્યારે આપે ત્યારે ઉખાડીને ફેંકી દે છે તે સમજી લે. આગામી સમયમાં ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે ત્યારે કેટલાક સમાજને ચોક્કસ રીતે તકલીફ પહોંચાડી કેટલાક લોકોને ખુશ કરવાનો પ્રયત્ન કરી ગુજરાતમાં સત્તા હાંસલ કરવાના પ્રયત્ન ન કરે તેમની હાર નક્કી છે. ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે કોંગ્રેસ મુકત ગુજરાત હોવું જોઇએ તે થઇને રહેશે તેનો મને વિશ્વાસ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











