નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ નેતાઓ ટીકીટ માટે લોબિંગ શરૂ કરી દીધું છે. બીજી તરફ વર્ષોથી પક્ષમાં વફાદારીના બણગાં ફુકતા નેતાઓ ટીકીટ કપાવવાના ભયથી પક્ષ પલટો કરવાના મુડમાં આવી ગયા છે. ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસમાંથી એક-એક નેતા પક્ષનો છેડો ફાડી રહ્યા છે. ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ ભાજપનો છેડો ફાડી દીધો છે. તેમણે કોંગ્રેસમાં એન્ટ્રી કારશે તેવા એંધાણ પણ મળી રહ્યા છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસના હિમાંશુ વ્યાસે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. હવે તેમણે ક્યાં પક્ષમાં જવાના છે તેની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતું કેસરિયો ધારણ કરે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. હવે તેઓ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે ચર્ચાઓ તેજ બની છે. કહેવામાં આવી રહ્યું છે તેમણે છેલ્લા કેટલાક સમયથી ભાજપથી નારાજ હતા. તેમણે જણાવ્યું હતું કે પાટણ જિલ્લા ભાજપ પર કેટલાક લોકો કબજો જમાવીને બેઠા છે. જે પક્ષને આગળ વધારવાનું નહીં પણ અવરોધ કરવાનું કામ કરી રહ્યા છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ પક્ષનું વાતાવરણ બગાડ્યું છે. હું સતત ફરિયાદી બનીને પક્ષમાં રહેવા માગતો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જયનારાણ વ્યાસે રાજસ્થાનના CM અશોક ગહેલોત સાથે અમદાવાદ સર્કિટ હાઉસમાં મુલાકાત કરી ગતી. આ મુલાકાત બાદ જયનારાણ વ્યાસ ભાજપ છોડી રહ્યા હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જયનારાણ વ્યાસે આ મુલાકાતને નર્મદાને લઇને તેઓ જે પુસ્તક લખી રહ્યા છે તે માટે પરામર્શ અર્થે તેઓ ગેહલોતને મળ્યા હોવાની જાણકારી આપી હતી. જોકે આજે તેમણે પાર્ટીમાં રાજીનામું આપતા હવે તેમણે કોંગ્રેસનો હાથ પકડશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ભાજપમાંથી એક વ્યાસ કોંગ્રેસમાં આવી રહ્યા હોવાની વાત વચ્ચે કોંગ્રેસમાંથી પણ એક વ્યાસે પક્ષને રામ રામ કરી દીધા છે . કોંગ્રેસના ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના સેક્રેટરી રહી ચૂકેલા હિમાંશુ વ્યાસે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના સંગઠનથી છેલ્લા કેટલાક દિવસથી તેમણે નારાજ હતા. નારાજગી એ હદ પહોંચી કે તેમણે આજે પક્ષ સાથે છેડો ફાડી દીધો છે. હવે તેમણે ક્યાં પક્ષનો હાથ પકડવાના છે તે હજી સુધી સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતું રાજકીય પંડીતો કહી રહ્યા છે. આજે ભાજપ અને કોંગ્રેસમાં “વ્યાસ” બંદુઓની અદલા-બદલી થવાની છે.








