નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા ઉપર રખડતા ઢોરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, આ રસ્તે રાખતા ઢોરના કારણે અનેક એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં કોઈ વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો હોય અથવા કોઈ વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હોય. તાજેતરમાં તો ગુજરાતના સત્તા પક્ષના બે અગ્રણી નેતાઓને પણ આ રસ્તા ઉપર રખાડતા ઢોરનો અનુભવ થઈ ગયો છે. તેમ છતાં રાજ્ય સરકાર આ સમસ્યાનું સમાધાન કરવામાં સફળ રહી નથી. જેના કારણે હવે ગુજરાત હાઈ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનું નક્કી કર્યું છે.
આજે ગુજરાત હાઈ કોર્ટ દ્વારા રસ્તા ઉપર રખડતાં ઢોર મુદ્દે ગુજરાત સરકારની ઝાટકણી કાઢવામાં આવી હતી. ગુજરાત હાઈ કોર્ટે કડક શબ્દોમાં રાજ્ય સરકારને આ સમસ્યાનું નિરાકરણ કરવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે, જો રખડતાં ઢોરના પ્રશ્નને ઉકેલવામાં સરકાર સક્ષમ ન હોય તો હવે કોર્ટ હસ્તક્ષેપ કરશે. આ સાથે જ હાઈ કોર્ટે ગુજરાત સરકારને તાત્કાલિક જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. કોર્ટે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, વારંવાર કોર્ટ દ્વારા સરકારને આ મુદ્દે ટકોર કરવામાં આવી છે, છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી અને ગુજરાતમાં અનેક લોકોના જીવ આ રસ્તા ઉપર રખડતા ઢોરના કારણે ગયા છે, જે જવા ન જોઈએ.
આજે ગુજરાત હાઈ કોર્ટ દ્વારા ઝાટકણી કાઢતા ગુજરાત સરકાર તાત્કાલિક એક્શનમાં આવી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, હવે રસ્તે રખડતા ઢોર માટે ઢોરવાડા બનાવવામાં આવશે અને ઢોરને ત્યાં રાખવામાં આવશે, જેથી કરીને રાહદારીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. આ ઉપરાંત આ કામ માટે સરકાર દ્વારા 10 કરોડ રૂપિયાની ફાળવણી પણ સરકાર દ્વારા કરવામાં આવી છે અને નજીકના ભવિષ્યમાં આની ઉપર કામ શરૂ કરવામાં આવશે.








