નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ગુનેગારો બેફામ બન્યા છે. તાજેતરમાં અમદાવાદના સરદારનગર વિસ્તારમાં બે દિવસમાં બે ઘટનાઓ બની હતી, જેમાં એક સગીરનું અપહરણ કરીને બળાત્કાર ગુજારવાની ઘટના બની હતી, ત્યાર બાદ બીજા દિવસે આ બળાત્કારની ફરિયાદ પછી ખેંચવા માટે ફાયરિંગની ઘટના બની હતી. અમદાવાદ પોલીસ દ્વારા આ બંને ઘટનાના સંદર્ભમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક આરોપીની ધરપકડ બળાત્કારના કેસમાં કરવામાં આવી છે જ્યારે બીજા બે આરોપીઓની ધરપકડ ફાયરિંગ માટે કરવામાં આવી છે.
સરદારનગર પોલીસ કસ્ટડીમાં રહેલા 3 આરોપીના નામ ગોપાલ ભરવાડ, રાકેશ ભરવાડ અને ભરત ભરવાડ છે. આ 3 આરોપીમાંથી રાકેશ ભરવાડ એક સગીરાનુ અપહરણ કરી તેને મધ્યપ્રદેશ લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટનાના સંદર્ભમાં 13 તારીખે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બળાત્કાર અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આ મામલે પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ કાર્યવાહી ચાલુ હતી. ત્યારે 15 તારીખે રાતના સમયે નોબલ ત્રણ રસ્તા પાસે મહાકાળી હોટલ નજીક 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા. જેમાં હકિકત તેવી સામે આવી કે પોક્સોના કેસમાં સમાધાન કરી લેવા ધમકી આપી ગોપાલ ભરવાડ અને ભરત ભરવાડે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જેના કારણે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ગુનામાં વપરાયેલી પિસ્ટલ અને નંબર પ્લેટ વિનાની કાર કબ્જે કરી હતી, જોકે હથિયાર ગેરકાયદેસર હોવાનુ સામે આવતા આરોપીઓ હથિયાર ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.