નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષ બીજા પક્ષના મોટા નેતાઓને પોતાના પક્ષમાં ખેચવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જ્યારે નેતાઓ પણ પોતાના અંગત સ્વાર્થ માટે પક્ષ પલટો કરી રહ્યા છે. છેલ્લા બે દિવસથી ગુજરાત કોંગ્રેસ માટે મોટું નામ કહેવાતા હાર્દિક પટેલ અંગે થઈ રહેલી ચર્ચાઓના કારણે ગુજરાતનું રાજકારણ વધુ ગરમાયું છે. લોકો દ્વારા એવી ચર્ચાઓ કરવામાં આવી રહી છે કે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને અન્ય પક્ષમાં જઈ રહ્યા છે.
હાર્દિક પટેલના પક્ષ પલટાની ચર્ચાઓ વચ્ચે ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાનું એક સૂચક નિવેદન સામે આવ્યું છે. ગોપાલ ઇટાલીયાએ કહ્યું હતું કે, હાર્દિક પટેલ આપમાં જોડાય તેવી અમારી લાગણી છે અમે તેમને પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપીએ છે. તો બીજી તરફ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે, જો કે આ અંગે હાર્દિક પટેલ કે ભાજપ દ્વારા કોઈ સ્પષ્ટતા હજુ સુધી કરવામાં આવી નથી.
હાર્દિક પટેલ કોંગ્રેસ છોડે છે તેવી ચર્ચાઓ કેમ શરૂ થઈ?
છેલ્લા બે દિવસથી ગુજરાતના રાજકારણમાં ચર્ચાઓ ચાલી રહી છે કે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડે છે, કારણ કે છેલ્લા બે દિવસથી હાર્દિક પટેલ મીડિયા સામે ખુલ્લા મનથી કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધના નિવેદનો કરી રહ્યા છે. તેમણે મીડિયાને જણાવ્યુ હતું કે, “કોંગ્રેસમાં કેટલાક લોકો છે જે ઈચ્છે છે કે હું કોંગ્રેસ છોડીને જતો રહું, આ અંગે મે હાઈકમાન્ડને પણ ફરિયાદ કરી હતી પણ તેના ઉપર કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. હું કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ છું તેમ છતાં પાર્ટીમાં મારૂ કઈ ચાલતું નથી, કોઈ નિર્ણય લેવામાં મને સાથે રાખવામા આવતો નથી.”
હાર્દિક પટેલના આવા નિવેદનો બાદ ગુજરાતનાં રાજકારણમાં ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. હવે જોવું રહ્યું કે હાર્દિક પટેલે શું નિર્ણય કર્યો છે તે સમય જતાં જ ખબર પડશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











