નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરમાં એક આધેડ પર ફાયરિંગ કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જાહેર રોડ પર આધેડ પર ફાયરિંગ કરીને એક યુવક નાસી છુટ્યો હતો. ધોળા દિવસે ફાયરિંગની ઘટના બનતા ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી અને સ્થાનીક પોલીસની ટીમ આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. ફાયરિંગ કરનારા આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમ હરીયાણાથી ઝડપી પાડવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના તાતીવેલાથી આંબલીયાળા જવાના રસ્તા પર ગત 7 તારીખે નગાભાઈ બામણીયા નામના એક આધેડ પર બાઈક લઈને આવેલા એક યુવક દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યુવાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આધેડ ઈજાગ્રસ્ત થતાં તેને વેરાવળ સરકારી હોસ્પીટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવ્યા હતો. જાહેર રસ્તા પર ફાયરિંગ થતાં સ્થાનિક લોકો ભયમાં મુકાયા હતા.
સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી અને નાકાબંધી કરતા આરોપીના બાઈક નંબર જી.જે.૨૫ એ.સી.૯૧૦૩ની જાણકારી મળી હતી. ત્યારબાદ પોલીસને માહિતી મળી હતી કે આરોપી દિલ્હી-હરીયાણા તરફ નાસી છૂટ્યો છે. જેથી પોલીસને એક ટીમ હરીયાણા રવાના થઈ હતી. પોલીસે ફરીદાબાદમાંથી આરોપી સુખદેવ ભુપત ઓડેદરાને ઝડપી પાડ્યો છે. પોલીસ પુછપરછમાં ફાયરિંગનું કારણ આપ્યું હતું કે, ફરીયાદી આધેડ તેની માતા સંપર્કમાં હોવાથી ઘરમાં અવાર નવાર ઝધડો થતો હતો અને આ બાબતથી કંટાળી આરોપીએ ફરીયાદીને મારવાનું નક્કી કર્યું હતું. આધેડને પતાવવામાં દેશી બનાવટનું હથિયાર ફરીદાબાદથી સાથે લઇ આવ્યો હતો. એક દિવસ અગાઉ આવી ફરીયાદીની રેકી કરી આ ફાયરિંગ કર્યું હતું.








