નવજીવન ન્યૂઝ. ગીર ગઢડાઃ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પ્રાચીન વારસો ધરાવતી અને સંસ્કૃતિ સાથે જોડાયેલી જગ્યાઓ આવેલી છે. જે પૈકીને કેટલીક જગ્યાને યુનેસ્કોએ હેરિટેજ સાઈટ જાહેર કરી છે. આ ગુજરાત માટે ગૌરવની વાત છે. પરંતું ગુજરાતમાં પ્રાચીન વારસો ધરાવતી અને સંસ્કૃતિ સાથે જોડાયેલી કેટલીક જગ્યા પર અસામાજીક તત્વોનું સામરાજ્ય બન્યું છે. આવી જ એક જગ્યા ગીર ગઢડા તાલુકાના શાણા વાકિયા ખાતે આવેલી બૌદ્ધ ગુફાઓ છે.
સમગ્ર ભારતભરમાંથી બૌદ્ધ ધર્મ માનનારા લોકો આ જગ્યા પર આવતા જતા હોય છે. જોકે અહીંયા અનેક પ્રકારની પાયાની જરૂરિયાતોની સગવડ ન હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આમ તો ગુજરતાના પ્રવાસન વિભાગ દ્વારા આવા સ્થળોની જાળવણી કરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. પરંતું હજી સુધી બૌદ્ધ ગુફાઓ જાણે તેમના નજરમાં આવી નથી.
બૌદ્ધ ગુફાઓ પાસે પાયાની સગવડ ઊભી કરવા માટે શિલ્પાબેન જેસીંગભાઇ જોગદીયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, શાણા વાકીયા ગામે આવેલા બૌદ્ધ વિરાસત ખાતે પીવાનું પાણી લાઈટ બાથરૂમ આરામ ધ્યાન કરવા માટે રૂમની વ્યવસ્થા નથી. તેમ જ અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી ગંદકી ફેલાવવામાં આવી રહી છે અને ચૈત્ય તેમજ ગુફાઓને નુકસાન કરવામાં આવેલું છે. તેથી રિનોવેશન કરાવીને સીસીટીવી કેમેરાઓ લગાવી સિક્યુરિટી ગાર્ડ ફાળવવામાં આવે. દર્શનાર્થી માટે લાઈઝન કરી શકે તેવા લોકોની નિમણૂકો કરી જાહેર માર્ગો પર આવવા જવા માટેના વધુ પ્રમાણમાં જાહેરાતો થાય તેવા ફોટોગ્રાફી વાળા સાઈન બોર્ડ લગાડવા, ઉપરાંત લોકો બૌદ્ધ વિરાસત સ્પષ્ટ પણે સમજી શકે તે બાબતે જાહેરાતો કરાવી પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.
આભારસઃ ધર્મેશ જેઠવા ઉના








