નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની ફોક્સકોને (Foxconn) ભારતીય જૂથ વેદાંતા (Vedanta) સાથે આશરે રૂપિયા દોઢ લાખ કરોડના સેમિકન્ડક્ટર (semiconductor) બનાવા માટેના કરેલો કરાર તોડવાની જાહેરાત કરી છે. ગત વર્ષે વેદાંતા અને ફોક્સકોને ગુજરાતમાં 19.5 બિલિયન ડોલર રોકાણ સાથે સેમીકંડક્ટર અને ડિસપ્લે પ્રોડક્શન પ્લાન્ટ લગાવવાની જાહેરાત કરી હતી. ત્યારે આજે ફોક્સકોને એક નિવેદનમાં કહ્યું છે કે, વેદાંતાની સંપૂર્ણ માલિકી હક વાળી કંપનીમાંથી ફોક્સકોન તેનું નામ હટાવવાનું કામ કરી રહી છે. કંપનીએ કહ્યું કે, તેણે વેદાંતા સાથેના જોઈન્ટ વેંચરમાં આગળ ન વધવાનો નિર્ણય કર્યો છે.
ગત વર્ષે વેદાંતાએ ફોક્સકોનની સાથે મળીને ગુજરાતમાં સેમીકંડક્ટર અને ડિસપ્લે મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ લગાવવાનો નિર્ણય કર્યો હતો. વેદાંતા સમુહને સેમીકંડક્ટર પ્લાન્ટ લગાવવા માટે ગુજરાત સરકારે આર્થિક અને નોન ફાઈનાન્શિયલ સબ્સિડી જેમાં કેપિટલ એક્સપેન્ડિચર સહિત સસ્તી વિજળી ઉપલબ્ધ કરાવવા માટેની પરવાનગી પણ આપી હતી. આ જોઈન્ટ વેન્ચરમાં આશરે દોઢ લાખ કરોડ રૂપિયાનું રોકાણ થવાનું હતું. ફોક્સકોને કહ્યું કે, તેણે સેમિકન્ડક્ટરના એક મહાન વિચારને વાસ્તવિકતામાં ફેરવવા માટે વેદાંતા સાથે એક વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું છે. પરંતુ હવે જોઈન્ટ વેંચરમાંથી બહાર નીકળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે આ નિર્ણય પરસ્પર લેવામાં આવ્યો છે. હવે તે વેદાંતાની સંપૂર્ણ માલિકીનું એકમ હશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એક વર્ષથી વધુ સમયથી Hon Hai Technology Group (Foxconn) અને વેદાંતાએ ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના વિચારને વાસ્તવિકતામાં લાવવા માટે સખત મહેનત કરી છે. તે એક ઉપયોગી અનુભવ રહ્યો છે, જે આગળ જતાં બંને કંપનીઓને મજબૂતી આપશે. કંપનીએ કહ્યું, “ફોક્સકોનને ભારતમાં સેમિકન્ડક્ટર સેક્ટરની વૃદ્ધિની સંભાવના પર વિશ્વાસ છે. અમે સરકારના ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને મજબૂત સમર્થન આપવાનું ચાલુ રાખીશું. અમે હિતધારકોની જરૂરિયાતોને પહોંચી વળવા વિવિધ સ્થાનિક ભાગીદારો સાથે કામ કરતાં રહીશું.
ગત વર્ષે 13 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના ગાંધીનગરમાં સરકાર, ભારતીય કંપની વેદાંતા અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ જાયન્ટ ફોક્સકોન ગ્રુપ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તે દરમિયાન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે બંને કંપનીઓ ગુજરાતમાં એકમો સ્થાપવા માટે રૂ. 1,54,000 કરોડનું રોકાણ કરશે. આ સાથે રાજ્યમાં એક લાખ નોકરીઓનું સર્જન થશે.
ગયા વર્ષે જ્યારે વેદાંતા તરફથી ખુલાસો આવ્યો, ત્યારે એવું લાગ્યું કે તેમણે જ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે. બાદમાં કંપનીએ સ્પષ્ટતા કરી કે તે વલ્કન ઇવેન્ટ પ્રોજેક્ટને આગળ લઈ રહી છે. ગયા અઠવાડિયે શેરબજારના નિયમનકાર સેબીએ વેદાંતા પર દંડ લાદવાની જાહેરાત કરી હતી. સેબીએ કહ્યું કે કંપનીને એવું દેખાડવામાં આવ્યું છે કે કંપનીએ ફોક્સકોન સાથે ભાગીદારી કરી છે, જે નિયમોનું ઉલ્લંઘન છે.
અગાઉ શુક્રવારે વેદાંતાએ કહ્યું હતું કે, તે જોઈન્ટ વેંચરની હોલ્ડિંગ કંપનીને હસ્તગત કરશે, જેણે સેમિકન્ડક્ટર બનાવવા માટે ફોક્સકોન સાથે જોડાણ કર્યું હતું. કંપનીએ કહ્યું હતું કે તે વલ્કન ઇન્વેસ્ટમેન્ટ્સ પાસેથી ડિસ્પ્લે ગ્રાસ મેન્યુફેક્ચરિંગ વેન્ચર પણ હસ્તગત કરશે. PM મોદીએ ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં નવા યુગની રચના કરવા માટે ભારતની આર્થિક વ્યૂહરચનાના ભાગરૂપે ચિપ મેન્યુફેક્ચરિંગને ટોચની પ્રાથમિકતા આપી છે. હવે ફોક્સકોનનું આ પગલું ભારતમાં ચિપ્સ બનાવવા માટે વિદેશી રોકાણકારોને આકર્ષવાની તેમની મહત્વાકાંક્ષાને ફટકો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








