નવજીવન ન્યૂઝ, જૂનાગઢ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો (Local body elections Gujarat results) જાહેર થતાં કણજા જિલ્લા પંચાયતની બેઠક પર AAP ના ઉમેદવાર પ્રવીણ ચાવડાની જીત બાદ જૂનાગઢમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. જીતની ઉજવણીના ભાગરૂપે ખોરાસા ખાતે આવેલી દ્રારકેશ મીલ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા (Former Cabinet Minister Jawahar Chavda) એ શુભેચ્છા મુલાકાત લઈ બેઠક યોજી હતી. આ કાર્યક્રમમાં જવાહર ચાવડાએ સંબોધનમાં કહ્યું કે, ‘જેને ઉંદરડામાંથી દીપડો બનાવ્યો હતો, તેને ફરી ઉંદરડો બનાવી દીધો’. આ વાયરલ વીડિયોમાં તેઓ કોઈ પણ વ્યક્તિનું નામ લીધા વગર તેના વિરોધીઓ પર કટાક્ષ કરી રહ્યા છે અને મતદારોનો આભાર માની રહ્યા છે.
જૂનાગઢની કણજા બેઠકના પરિણામો બાદ યોજાયેલી આ સભામાં અંદાજે 1500થી વધુ લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. વાયરલ વીડિયોમાં જવાહર ચાવડાએ કાર્યકરો અને મતદારોને સંબોધતા જણાવ્યું હતું કે, તેઓ ભલે શારીરિક રીતે દૂર હતા, પરંતુ મતદારોએ તેમની અપેક્ષા મુજબનું કામ કરીને બતાવ્યું છે. તેમણે દેવાયત બોદરના સમયના વારસાને યાદ કરીને કહ્યું હતું કે આપણા સમાજને કોઈ વાત ઈશારામાં કહેવામાં આવે તો પણ તે બધું સમજી જાય છે.
અત્રે નોંધનીય છે કે, સાવજ ડેરી (Savaj Dairy Junagadh) ના ચેરમેન અને ભાજપના પૂર્વ મંત્રી વચ્ચે ચાલી રહેલી રાજકીય લડાઈમાં ખુલ્લેઆમ નિવેદન કરવામાં આવી રહ્યાં છે. ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાના પુત્રવધુ AAP ના ઉમેદવાર સામે હારી જતાં તેમણે જવાહર ચાવડા પર સીધું નિશાન (Dinesh Khatariya vs Jawahar Chavda) તાકી તેમને ‘શિખંડી’ સાથે સરખાવ્યા હતા.








