નવજીવન ન્યૂઝ. તામિલનાડુ: ટ્રેનમાં તેમજ બિલ્ડીંગોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે તમિલનાડુના મદુરાઈ પાસે ટ્રેનમાં ગેરકાયદે સિલિન્ડર લઈ જઈ ચા નાસ્તો બનાવતા ટ્રેનમાં આગ લાગતાં 9 લોકો મોતને ભેટ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મદુરાઈના રેલવે અધિકારીઓનાં જણાવ્યા અનુસાર લખનૌથી રામેશ્વર જતી મુસાફર ટ્રેનના ટુરિસ્ટ કોચમાં આગ લાગવાની ઘટનાને કારણે 9 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ટ્રેનમાં આગ લાગવાની ઘટનાની જાણ સવારે 5:15ની આસપાસ મદુરાઈ જન્કશન પર ટ્રેન રોકવામાં આવી ત્યારે થઈ હતી. તેમજ તાતલાલિક ધોરણે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. 7:15 વાગ્યે ફાયર બ્રિગેડ દ્વારા આગને સંપૂર્ણ રીતે બુઝાવી દેવામાં આવી હતી. રેલવે દ્વારા હેલ્પલાઈન નંબર 9360552608 અને 8015681915 પણ જારી કરવામાં આવ્યા હતા.
ટ્રેનના ખાનગી કોચમાં લખનૌથી 65 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. સવારે 3:47 વાગ્યે ટ્રેન મદુરાઈ પહોંચી હતી. ટ્રેનમાં સવાર કેટલાક મુસાફરો ટ્રેનના કોચમાં ગેરકાયદે સિલિન્ડર લઈ મુસાફરી કરી રહ્યા હતા. તેમાના કેટલાક મુસાફરોએ ગેરકાયદે લઈ આવેલ સિલિન્ડરનો ચા નાસ્તો બનાવવા ઉપાયો કરતાં ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની હતી. ટ્રેનમાં આગ લાગવાને કારણે મુસાફરી કરી રહેલા મોટાભાગના લોકો ટ્રેનની બહાર નીકળી ગયા હતા. આગ લાગવાથી જે કોચમાં આગ લાગી તેના સિવાય બીજા કોઈ કોચને નુકસાન થયું નથી, જે રાહતના સમાચાર કહી શકાય.
ટ્રેનમાં આગ લાગવાની ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, આગ ભીષણ સ્વરૂપ ધારણ કરી રહી છે અને આજુબાજુના લોકો ખૂબ જ ડરી ગયા છે. તેમજ પોતાનો જીવ બચાવવા બૂમાબૂમ કરી રહ્યા છે. બીજી બાજુ બાજુના ટ્રેક પરથી પણ ટ્રેન પસાર થઈ રહી છે. ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જે કોચમાં આગ લાગી હતી તે ખૂબ જ ખરાબ રીતે સળગી ગયો હતો.
રેલવેના જણાવ્યા અનુસાર કેટલાક મુસાફરો ગેરકાયદે સિલિન્ડર સાથે લઈ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હતા. ટ્રેનમાં સિલિન્ડર જેવી જ્વલનશીલ વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક મુસાફરોએ સિલિન્ડરનો ચા નાસ્તો બનાવવા ઉપયોગ કર્યો હતો. જેના કારણે ટ્રેનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આપને જણાવી દઈએ કે IRCTC પોર્ટલનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિ કોચ બુક કરાવી શકે છે, પરંતુ તેમાં જ્વલનશીલ વસ્તુ કે પદાર્થ લઈ જવાની સખત મનાઈ છે. મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની સહાય પણ જાહેર કરવામાં આવી છે.








