પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ગુજરાત પોલીસની(Gujarat Police) ગંગોત્રી ઉલ્ટી વહી રહી હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. આજરોજ સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ના પીઆઈ દહીયાની શંકાસ્પદ પ્રવૃત્તિને કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર મચી હતી. ત્યાં નવો ઘટસ્ફોટ થયો છે જેમાં રાજ્યના તમામ પોલીસ સ્ટેશન પર નીગરાની રાખતી સ્ટેટ મોનિટરિંગ સેલની જ નીગરાની ભરૂચ પોલીસના બે કર્મચારીઓ રાખી રહ્યાં હતા તેવી માહિતી મળી રહી છે. આ પોલીસ કર્મચારીઓએ મોનિટરિંગ સેલના 15 જેટલા મહત્વના અધિકારીઓના ફોન ટ્રેસ કરી તેમની માહિતી એકત્રિત કરી બુટલેગરોને પહોંચડવાનું કામ કર્યું હતું.
છેલ્લા બે દિવસથી સ્ટેટ મોનટિરિંગ સેલના પીઆઈ દહીયાને બચાવવા ઉતરેલા અધિકારીઓને હાથ નિષ્ફળતા લાગી હતી અને આજરોજ દહીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે હવે નવી સ્ફોટક માહિતી સામે આવી છે. જેમાં ભરૂચ પોલીસના ટેકનીકલ સર્વેલન્સ ટીમના 2 પોલીસ કર્મચારીઓ બુટલેગર માટે કામ કરતાં હોવાનું સામે આવ્યું છે. આ બંને કર્મચારીઓ પર આરોપ છે કે તેમણે સ્ટેટ મોનિટરિંગ સેલના મહત્વના 15 જેટલા અધિકારીઓના ફોન ટ્રેસ કરી જાસૂસી કરી હતી. આ બંને કર્મચારીઓએ ટ્રેસ કરેલા ફોનમાં મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયના અંગત સહાયક એવા પીએસઆઈનો મોબાઈલ નંબર પણ સામેલ છે.
ભરૂચ પોલીસના કર્મચારી દ્વારા પોલીસની જ ટેકનીકલ સુવિધાનો લાભ લઈ બુટલેગરો માટે મોનિટરિંગ સેલની જાસૂસી કરવામાં આવતી હતી. પોલીસ કર્મચારીઓએ મોનિટરિંગ સેલના 600 કરતાં વધારે લોકેશન ટ્રેસ કરી બુટલેગરો સુધી પહોંચાડ્યા હતા. અને ટીમ કયા વિસ્તારમાં છે અને તેમના અધિકારીઓની હાજરી ક્યાં છે તેની વિગતો એકત્રિત કરી બુટલેગરોને વેચતા હતા. ત્યારે રાજ્યની પોલીસમાં ધરખમ ફેરફાર કરવાની જરૂરીયાત વર્તાઈ રહી છે. વળી આ પ્રકારને પોલીસ કર્મચારીઓ જ રાજ્યના અસામાજિક તત્વો માટે કામ કરતાં થાય તો રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ પણ સાબદા થઈ કામગીરી કરવી પડશે અન્યથા સ્થિતી તેમની કચેરી સુધી પહોંચતા વખત નહીં લાગે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








