નવજીવન ન્યૂઝ.જામનગરઃ જામનગર ખાતે ઘરાનગરમાં તાજિયા જુલુસ નિકળ્યું હતું. દરમિયાન એક કરુણ ઘટના બની હતી જેમાં એક સાથે દસ લોકોને વીજ કરંટ લાગ્યો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય 9 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મહોરમને પગલે જામનગર ખાતે આવેલા ઘરાનગરમાં તાજિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાનમાં અહીં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જુલુસ જ્યારે આ વિસ્તારના જાહેર ચોકમાંથી નીકળી રહ્યું હતું ત્યારે જ એક વીજ તાર તૂટ્યો હતો. જે વીજ તાર અડકી જતા અંદાજે દસ લોકોને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા તમામની હાલત લથડી પડી હતી. લોકો તુરંત તેમની મદદે આવ્યા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે એક વ્યક્તિને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું. તાજિયાના જુલુસ દરમિયાન બનેલી આ ઘટનાએ સહુને દુઃખી કર્યા હતા. પોલીસને આ તરફ જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ખરેખર એવું શું બન્યું કે જેના કારણે આ દસ લોકો એક સાથે વીજકરંટની ઝપેટે ચઢ્યા અને આ દુર્ઘટના બની.








