નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ મંગળવારે દિલ્હીમાં આબકારી નીતિમાં કથિત કૌભાંડના સંબંધમાં આમ આદમી પાર્ટી (AAP) નેતા અને ઉદ્યોગપતિ વિજય નાયરની ધરપકડ કરી છે. વિજય નાયરને આજે રાઉઝ એવન્યુની વિશેષ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. રેબેકા જ્હોન વિજય નાયરના વકીલ તરીકે હાજર થયા છે. જ્યારે સીબીઆઈ તરફથી વિશેષ સરકારી વકીલ પંકજ ગુપ્તા છે. સીબીઆઈના વકીલે કોર્ટને કહ્યું કે આ હાઈ પ્રોફાઈલ કેસ છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત 13 લોકો આરોપી છે અને આરોપીઓ સહયોગ નથી કરી રહ્યા. વિજય નાયરના વકીલ રેબેકા જ્હોને CBI રિમાન્ડનો વિરોધ કર્યો. સીબીઆઈએ 7 દિવસની કસ્ટડી માંગી છે.
વિજય નાયરના વકીલે કહ્યું કે, તેમણે તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. જ્યારે પણ એજન્સીએ ફોન કર્યો ત્યારે તેમણે ગયા છે, રાત્રે 9-9 વાગ્યા સુધી પૂછપરછમાં સામેલ હતા. ધરપકડ કરવાની જરૂર નહોતી. ED અને CBIએ કુલ 5 ફોન જપ્ત કર્યા છે. નાયર પાર્ટીના મીડિયા સંબંધિત કામો જુએ છે. દારૂની નીતિ કે પૈસા સાથે કોઈ લેવાદેવા નથી. તેમને રિમાન્ડ પર ન મોકલી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
લાંબા સમયથી વિદેશમાં રહેલા નાયરને મંગળવારે એજન્સીની ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. એફઆઈઆરમાં આરોપ છે કે સિસોદિયાના સહયોગી અર્જુન પાંડેએ નાયર વતી દારૂના ધંધાર્થી સમીર મહેન્દ્રુ પાસેથી લગભગ બે થી ચાર કરોડ રૂપિયા રોકડા લીધા હતા. નાયર મનોરંજન અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ઓન્લી મચ લાઉડરના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. બીજી તરફ AAP એ તેના સંચાર પ્રભારી નાયરની ધરપકડની નિંદા કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે તે AAPને કચડી નાખવા અને ગુજરાતમાં તેના પ્રચારને અવરોધિત કરવાના બીજેપીના “પ્રયાસ”નો એક ભાગ છે.
આ મામલે દિલ્હીના સીએમએ કહ્યું હતું કે, “ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ગ્રાફ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. તેથી જ તેઓ AAPને કચડી નાખવા માંગે છે. નકલી કેસમાં અમાનતુલ્લા ખાન અને હવે ગઈકાલે વિજય નાયરની ધરપકડ કરી છે અને હવે આ લોકો આવતા અઠવાડિયે મનીષ સિસોદિયાની ધરપકડ કરવા જઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોને અપીલ તમામ કાર્યકરો ધરપકડ માટે તૈયાર રહો. તેઓ તેમના પર ખોટા કેસ કરીને કોઈપણની ધરપકડ કરી શકે છે. ખાસ કરીને ગુજરાતના કાર્યકરોને તૈયાર રહે.








