નવજીવન. ઉત્તરપ્રદેશઃ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર અને ભાજપને ૨૪ કલાકની અંદર બીજો ઝટકો લાગ્યો છે. સ્વામી પ્રસાદ મૌર્ય બાદ યોગી સરકારના અન્ય મંત્રી અને ઓબીસી નેતા દારાસિંહ ચૌહાણે રાજીનામું આપી દીધું છે. છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલથી 6 નેતાઓ પાર્ટી છોડી ગયા છે. દારા સિંહ ચૌહાણ સમાજવાદી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. રાજકીય રીતે દેશના સૌથી મહત્વપૂર્ણ રાજ્ય યુપીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપ માટે આને એક મોટા આંચકા તરીકે જોવામાં આવી રહ્યો છે. બે દિવસમાં બે મંત્રીઓ અને ચાર ધારાસભ્યો પાર્ટી છોડી ચૂક્યા છે. યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ભાજપને આ વખતે અખિલેશ યાદવ તરફથી રાજ્યમાં સત્તા પાછી મેળવવા માટે આકરો પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજીનામાના પત્રમાં ચૌહાણે લખ્યું છે કે, ‘મેં પૂરા સમર્પણ સાથે કામ કર્યું છે, પરંતુ સરકારના પછાત, વંચિત વર્ગો, દલિતો, ખેડૂતો અને બેરોજગાર યુવાનો પ્રત્યેના વલણ અને પછાત અને દલિત લોકો માટે અનામતના ઉપેક્ષિત વલણથી મને દુઃખ થયું છે. રાજીનામું આપું છું.
આ પહેલા ગઈકાલે યોગી આદિત્યનાથ સરકારના શ્રમ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ ભાજપ છોડી દીધું હતું. મૌર્યને ઉત્તર પ્રદેશમાં OBCનો મોટો ચહેરો માનવામાં આવે છે. તેમની સાથે ભાજપના વધુ ચાર ધારાસભ્યો, જેમાં બ્રિજેશ પ્રજાપતિ, રોશન લાલ, ભગવતી સાગર અને વિનય શાકકીએ ભાજપ છોડ્યુ હતુ. સ્વામી પ્રસાદ મૌર્ય બસપા છોડ્યા બાદ 2017માં ભાજપમાં જોડાયા હતા. અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીનો સામનો કરવા માટે ઓબીસી મતદારોને આકર્ષવાની ભાજપની યોજનાનું તેઓ કેન્દ્રબિંદુ હતા.








