નવજીવન ન્યૂઝ. દાહોદ: હોળીનો તહેવાર બાદ ફરી એકવાર ઠેર-ઠેર લગ્નની સીઝનની શરૂઆત થઈ છે. ત્યારે દાહોદ (Dahod) જિલ્લામાં ડીજેના તાલે જઈ રહેલા જાનૈયાનું સ્વાગત કઈંક એવી રીતે થયું કે જાન માંડવે પહોંચવાની જગ્યાએ હોસ્પિટલમાં પહોંચી ગઈ. જાનૈયાઓ ડીજેના તાલે નાચતા જઈ રહ્યા હતા તે દરમિયાન મધમાખીઓ (Honey Bee) છંછેડાઈ જતાં અનેક લોકોને ડંખ માર્યા હતા. જાનૈયાઓ ઈજાગ્રસ્ત થતાં દાહોદની ઝાયડસ હોસ્પિટલ (Zydus Hospital) માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
પ્રાપ્ત વિગત અનુસાર, દાહોદ જિલ્લાના સીમલીયા ખુર્દ ગામથી વરમખેડા ગામે જાન આવી રહી હતી. ડીજેના તાલે ઉત્સાહ અને આનંદ સાથે જાનૈયાઓ નાચતા જઈ રહ્યા હતા તે દરમિયાન ડીજેના કંપારીથી મધમાખીનું ઝુંડ ભડક્યું હતું. મધમાખી ભડકતા ઝાડ ઉપરથી ઊડીને જાનૈયાઓ પર ત્રાટકી હતી. મધમાખીઓએ પુરૂષ, મહિલાઓ અને બાળકો સહિત 25 જેટલા જાનૈયાઓને ડંખ માર્યા હતા. જાનૈયાઓ ઈજાગ્રસ્ત થતાં તેમની જ ગાડીમાં સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે વરરાજા અને એકલ દોકલ લોકો મધમાખીના ડંખથી બચી જતાં લાડીને પરણવા ત્યાંથી રવાના થયા હતા.
દાહોદ જિલ્લામાં લગ્ન પ્રસંગે ડીજેના ધ્રુજારીથી મધમાખી છંછેડાઈને જાનૈયાઓને ડંખ મારવાની આ બીજી ઘટના છે. મહીસાગર જિલ્લાના સંતરામપુરના ભંડાર ગામે એકસાથે ત્રણ જાન આવી હતી. તે દરમિયાન ડીજેની ધ્રુજારીના કારણે વાવ ફળિયામાં મંદિરની બાજુના વૃક્ષ પર રહેલા મધપુડો છંછેડાઈ જતાં 100થી વધુ જાનૈયાઓને ડંખ માર્યા હોવાની ઘટના બની હતી. જાનૈયાઓને મધમાખી ડંખ મારતા શરીરના ભાગે સોજા આવી ગયા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








