પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): નવજીવન ન્યૂઝ (Navajivan News) એટલે તમારો અવાજ, તમારો અવાજ બનવાની પ્રક્રિયાનો પ્રારંભ 2021માં થયો. સ્ક્રીન ઉપર તમને જે ચહેરો દેખાય છે તે ચહેરાની એક ચોક્કસ કિંમત તો છે. પણ તેની પાછળ પણ અનેક લોકોની મહેનત અને પરસેવો હોય છે. 2023થી નવજીવન ન્યૂઝનો ચહેરો બનેલા અમારા સાથી તુષાર બસિયા એક નવું સાહસ શરૂ કરવા જઈ રહ્યા છે. નવજીવન ટ્રસ્ટ (Navajivan Trust) દ્વારા 2019માં નવજીવન સ્કૂલ ઑફ જર્નાલિઝમનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રથમ બેચમાં તુષાર બસિયા રાજકોટથી અમદાવાદ પત્રકારત્વ ભણવા આવ્યો. તેવી જ રીતે 2020માં સાણંદથી પત્રકારત્વ ભણવા દેવલ જાદવ પણ આવ્યો. દેવલ જાદવ માટે અભિમાન ત્યારે થયું, જ્યારે 2021માં કોરોના ફાટી નીકળ્યો ત્યારે દેવલ જાદવની સાથે પત્રકારત્વના વિદ્યાર્થી જયંત દાફડા અને મિલન ઠક્કર સળંગ બે મહિના પોતાની ચિંતા કર્યા વગર કોરોનાગ્રસ્તોની મદદે અમદાવાદ સિવિલ પહોંચી જતા હતા. અમને લાગે છે કે, ખરું શિક્ષણ તો આ છે કે, જ્યારે આપણે કોઈને જીવાડવા માટે સંઘર્ષ કરીએ. 2020માં જ્યારે નવજીવન ન્યૂઝનો પ્રારંભ થાય છે ત્યારથી દેવલ જાદવ નવજીવન ન્યૂઝનો અભિન્ન હિસ્સો બની ગયો હતો. 2023માં તુષાર બસિયા પણ નવજીવન ન્યૂઝનો ચહેરો અને અવાજ બને છે. નવજીવનમાં સ્કૂલમાં પત્રકારત્વ ભણનાર તુષાર અને દેવલ અમારા સાથી બન્યા તેનું અમને ગૌરવ છે.
નવજીવન સ્કૂલ ઑફ જર્નાલિઝમમાં અમે કાયમ વિદ્યાર્થીઓને કહીએ છીએ કે, વર્ષાંતે લેવાતી પરીક્ષામાં વિદ્યાર્થી ક્યારેય પાસ-નાપાસ થતો નથી. વિદ્યાર્થી જીવનમાં સફળ થાય અને ઉત્તમ માણસ બને તો જ શિક્ષક પાસ થાય છે. મને અને મારા સાથી કિરણ કાપુરેને અભિમાન છે કે, તુષાર અને દેવલે પોતાના કામમાં સફળ થઈ અમને પાસ થવાનું બહુમાન આપ્યું છે. તુષાર બસિયા, દેવલ જાદવ અને BBC ગુજરાતીમાંથી રાજીનામું આપનાર સાગર પટેલ એક નવું સાહસ કરવા જઈ રહ્યા છે. જેનું નામ ‘સ્વમાન’ મીડિયા છે. તુષાર અને દેવલના શિક્ષક અને સાથી તરીકે તેમ જ સાગરના મિત્ર તરીકે આ નવાં સાહસ માટે ગૌરવ એટલા માટે પણ થાય કે સ્વતંત્ર પત્રકારત્વની દિશામાં વધુ એક કેડી કંડારવા તરફ તેઓ જઈ રહ્યા છે. પત્રકારત્વની દિશા અને દશા ધૂંધળી બનતી જાય છે ત્યારે ‘સ્વમાન’ મીડિયા ગુજરાતના વંચિત અને છેવાડાના માનવીનો અવાજ બનશે તેવો મને અને નવજીવન ન્યૂઝને પૂરો ભરોસો છે.
જિંદગીની સફરમાં ક્યારેક કોઈ સાથી ઉમેરાય છે, ક્યારેક કોઈ સાથી નવી કેડી કંડારે છે. આ બધું જ કુદરતની સ્ક્રિપ્ટ પ્રમાણે થતું હોય છે. તુષાર અને દેવલ સાથે નવજીવન ન્યૂઝમાં પસાર થયેલો સમય અવિસ્મરણીય છે. છતાં જ્યારે તેઓ સાગર સાથે મળી પત્રકારત્વનો અફાટ દરિયો ખેડવા નીકળ્યા છે ત્યારે મનમાંથી એક જ ઉદ્ગાર નીકળે છે, આજે છો તેવા કાયમ રહેજો અને સદા ખુશ રહેજો!
પ્રશાંત દયાળ અને નવજીવન ન્યૂઝ ટીમ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796