નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News: બાબા બાગેશ્વર (bageshwar dham baba) છેલ્લા કેટલાક દિવસોથી વિવાદમાં છે ત્યારે તેઓ રાજકોટ પહોંચે તે પહેલા ભરાઇ ગયા હોય તેમ જણાય છે. બાબા બાગેશ્વરધામના ધિરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Krishna Shastri) ચમત્કારિક શક્તિ ધરાવે છે કે નહીં તેને લઈ અનેક સવાલો પેદા થયા હતા. એવામાં ધિરેન્દ્ર શાસ્ત્રીએ ચેલેન્જ કરી પત્રકારોની હાજરીમાં પુરાવા આપવાની વાત કરી હતી. પરંતુ હવે રાજકોટમાં તેમની ચમત્કારીક શક્તિની હવા કાઢવા માટે જાગૃત નાગરિક પરસોત્તમ પીપરીયા (Purushottam Pipariya) મેદાને આવતા બાબા બરોબરના ભેરવાઇ જાય તો ના નહીં.

વિગતે વાત કરીએ તો બાબા ધિરેન્દ્ર શાસ્ત્રી તારીખ 1 અને 2 જૂને રાજકોટમાં દરબાર ભરવાના છે. આ દરબારમાં તેઓ કથિત રીતે ચમત્કારીક શક્તિથી લોકોના દુઃખ દુર કરશે. પરંતુ રાજકોટના કોમર્શિયલ બેંકના સી.ઈ.ઓ. પરસોત્તમ પીપરીયાએ તેમના આગમન પહેલા જ એક સવાલ પુછી ઈનામ જાહેર કરતા ધિરેન્દ્ર શાસ્ત્રીની મુશ્કેલી વધી શકે તેવું જણાય રહ્યું છે. પીપરીયાએ સવાલ કરી ફેસબુકમાં પોસ્ટ કરી છે કે, “તાંત્રિક બાગેશ્વર બાબા જણાવે કે રાજકોટમાં ડ્રગ ક્યાંથી અને કોના ઈશારે આવે છે. પાંચ લાખનું ઈનામ.” આમ તેમના સવાલને પગલે રાજકોટમાં ધિરેન્દ્ર શાસ્ત્રીના આગમન પહેલા જ માહોલ ગરમ થઈ ગયો છે.
આ મામલે પત્રકારો સાથે વાત કરતા પરસોત્તમ પીપરીયાએ જણાવ્યું હતું કે, બાબા જો એટલું બધું જાણતા હોય તો તેમને કહેવું જોઈએ રાજકોટમાં ડ્રગ ક્યાંથી અને કોના ઈશારે આવે છે. આ ડ્રગ દેશના યુવાધનને બરબાદ કરી રહ્યું છે ત્યારે લોકોના દુઃખ દુર કરતા બાબા જાણકાર હોય તો તેમને ડ્રગની માહિતી આપી દેશ હિતમાં કામ કરવું જોઈએ. જો તેઓ આ જવાબ આપશે તો હું તેમને પાંચ લાખનું ઈનામ આપીશ સાથે જ તેમને ભગવાન માનીશ. પરંતુ જો તેઓ જવાબ ન આપી શકે તો તેમને હું ઢોંગી બાબ માનીશ.
સાથે જ પીપરીયાએ જણાવ્યું હતું કે, રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ધિરેન્દ્ર શાસ્ત્રીના દરબાર જોવા જઈશ અને કમિટી મંજૂરી આપે તો મળીશ પણ ખરો અને આ સવાલ પણ કરીશ. જો તેઓ જવાબ ન આપી શકે તો ધરિન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે. આવું કરવા પાછળનું મારો ઉદ્દેશ્ય આવનારી પેઢીને અંધશ્રધ્ધામાં ધકેલાતી બચાવવાનો છે. કારણ કે ધર્મના નામે ધંધો વધારવા માટે ઢોંગીઓ વિદ્યાનો ઉપયોગ ચમત્કાર બતાવવા કરી રહ્યાં છે અને તે અત્યંત જોખમી છે.
ઉપરાતં પીપરીયાએ જણાવ્યું હતું કે ધિરેન્દ્ર શાસ્ત્રીને શહેરના શ્રેષ્ઠીએ બોલાવ્યા છે તો મને લાગે છે કે તેમની પણ કોઈ મજબૂરી રહી હશે. વળી મને કેટલાક પ્રતિભાવો મળી રહ્યાં છે જેમાં ધર્મ માટે આવું ન કરવું જોઈએ તેવું જણાવાય રહ્યું છે. તો મારો તેમને જવાબ છે કે હું પણ સનાતની છું, મે પણ શિવ મંદિરનું નિર્માણ કરાવ્યું છે, હું પણ ભગવાનની પુજા કરું છું. પરંતુ આ ધર્મના નામે ચાલતી અંધશ્રધ્ધા છે માટે મારે અંધશ્રધ્ધાનો વિરોધ પ્રગટ કરવો જરૂરી છે. વળી જો બાબા મારા સવાલનો જવાબ આપી શકે તો હું તેમનું પણ મંદિર બનાવીશ તેમ પણ કહું છું. પણ પહેલા બાબા ડ્રગ લાવે છે કોણ અને ક્યાંથી આવે છે, કોના ઈશારેથી આવે છે જેવી તમામ વિગતો કે જે પોલીસ પાસે નથી તે આપે.
આમ રાજકોટમાં બાબા ધિરેન્દ્રના આગમન પહેલા જ સળગતો સવાલ તૈયાર છે જે તેઓ પાંખડી છે કે ચમત્કારિક પુરૂષ તે નક્કી કરશે. આમ હવે રાજકોટના બાબા બાગેશ્વરના દરબાર પર સૌ કોઈ મીટ માંડીને બેઠા છે.
TAG: Bageshwar Baba In Gujarat, Baba Dhirendra Shastri Visit Rajkot, Gujarat
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








