Gujarat High Court stays investigation into singer Kinjal Rabari kidnapping case : અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર ઝુંડાલ સર્કલ નજીક આવેલા સીબીડી મોલ ખાતેથી લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ થવાની ફરિયાદમાં હાઇકોર્ટે રાહત આપી છે. ગત રવિવારે પતિ સાથે મિર્ઝાપુર મૂવી (Mirzapur Movie) જોવા ગયેલી કિંજલ રબારી એક કારમાં સ્વેચ્છાએ બેસીને જતી રહી હતી. મુકેશ રબારીએ પોતાની પત્ની કિંજલનું અપહરણ થયું હોવાની ચાંદખેડા પોલીસ સ્ટેશન (Chandkheda Police Station) ખાતે ફરિયાદ આપી હતી. કથિત અપહ્યુત કિંજલ રબારી અને અશોક ચૌધરી સુરક્ષાના કારણોસર ભૂર્ગભમાં ઉતરી ગયા હતા. અપહરણની ફરિયાદ રદ કરાવવા પિટીશન થતાં હાઇકોર્ટ (Petition in High Court to quash kidnapping FIR) માં તેની સુનાવણી દરમિયાન પોલીસ તપાસ પર સ્ટે આપવાનો હુકમ થયો છે.
પ્રેમ લગ્નથી લઈને અપહરણ સુધીનો ઘટનાક્રમ
ઉત્તર ગુજરાતના રહેવાસી અને જાણીતા લોકગાયિકા કિંજલ દેસાઈ ઉર્ફે કિંજલ રબારીએ મે-2024માં અશોક વાલાભાઈ ચૌધરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. કિંજલ અને અશોકના પ્રેમ લગ્નને લઈને બંને સમાજ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. કિંજલ રબારી પરિવારના દબાણના કારણે માતા-પિતાના ઘરે ચાલી ગઈ હતી અને તે પછી રાધનપુર ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરવામાં આવી હતી. દરમિયાનમાં કિંજલના લગ્ન નરસિંહભાઈ ઉર્ફે મુકેશભાઈ રબારી સાથે કરાવી દેવાયા હતા. કિંજલ રબારી ગત રવિવારે મુકેશ રબારી સાથે ચાંદખેડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા The CBD Mall માં મૂવી જોવા ગયા ત્યારે તેમનું અપહરણ થયું હોવાની જાહેરાત થઈ હતી. આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં શકમંદ અશોક ચૌધરી સહિતના શખસો સામે ફરિયાદ નોંધાઈ હતી.
કિંજલ અને અશોક VCથી હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયા
કિંજલ રબારીએ ગત રવિવારે જ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને પોતાનું અપહરણ થયું નથી તેવી જાહેરાત કરી હતી. બીજી તરફ ચાંદખેડા પોલીસે કિંજલની ભાળ મેળવવા પાંચ ટીમ બનાવી હતી, પરંતુ તે મળી ન હતી. દરમિયાનમાં હાઇકોર્ટમાં અપહરણની ફરિયાદ રદ કરાવવા અશોક ચૌધરીએ પિટીશન દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) સમક્ષ આજે બુધવારે કિંજલ રબારી અને અશોક ચૌધરી વીડિયો કોન્ફરન્સથી હાજર રહ્યા હતા. હાઇકોર્ટ સમક્ષ કિંજલ રબારીએ પોતાનું અપહરણ નહીં થયું હોવાનો ખુલાસો કરતા પોલીસ તપાસ પર સ્ટે આપી દેવાયો છે.








