નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા દાયકમાં અઢળક ખાનગી શાળાઓ શરૂ થઈ છે. આ ખાનગી શાળાઓ સુવિધાના નામે મનફાવે તેમ વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવે છે. ખાનગી શાળાઓ આવી રીતે ઈચ્છા મુજબની ફી ન વસૂલે તેના માટે FRC (Fee Regulatory Committee)ની રચના કરવામાં આવી છે, તેમ છતાં ઘણી શાળાઓ FRCના નિયમોને ઘોળીને પી જાય છે અને ઈચ્છા થાય તેમ ફી વધારો કરે છે. અમદાવાદનાં બોડકદેવ વિસ્તારમાં આવેલી નિરમા સ્કૂલ (Nirma School in Bodakdev) દ્વારા પણ આવી જ રીતે FRCની મંજૂરી વગર 40% ફી વધારો કરવામાં આવ્યો હતો. જેને લઈને હવે DEO દ્વારા વધારાની ફી પરત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
પ્રાથમિક વિગતો મુજબ, ગત વર્ષની સાપેક્ષે આગામી વર્ષ માટે નિરમા સ્કૂલ દ્વારા ફીમાં 40 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના વાલીઓનું કહેવું છે કે આ ફી વધારો ગેરકાયદે કરવામાં આવ્યો છે, જેમાં FRCના નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. ગત વર્ષની ફી 90 હજાર હતી જે વધારીને હવે 1.25 લાખ કરી દેવામાં આવી છે. નારાજ વાલીઓએ આ ફી વધારા અંગે અમદાવાદ DEOને ફરિયાદ કરી હતી.
FRCના નિયમ મુજબ એક વર્ષમાં 5 ટકાથી વધારે ફીમાં વધારો કરી શકાય નહીં, જેથી DEOએ નિરમા સ્કૂલ પાસે એક જ વર્ષમાં 40 ટકા વધારો કરવા માટેના કારણો 2 દિવસમાં જણાવવા માટે નોટિસ ફટકારી હતી. પરંતુ નિરમા સ્કૂલ તરફથી યોગ્ય જવાબ ન મળતા હવે DEOએ નિરમા સ્કૂલને આદેશ કર્યો છે કે, જે વિદ્યાર્થીઓ પાસેથી આ વધારાની ફી વસૂલવામાં આવી છે તેમને વધારાની ફી પરત કરવામાં આવે અને જો સ્કૂલ આ આદેશનું પાલન નહીં કરે તો સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








