નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદમાં જ નહીં ગુજરાતભરમાં ઠેરઠેર દારુની બદી સામે લોકો લડી રહ્યા છે. પોલીસ પણ આ માટે કેટલી કામગીરી કરે છે તે પણ જગજાહેર છે. અમુક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની મીલીભગતના ઘણીવાર અહેવાલો સામે આવ્યા છે. જોકે બુટલેગરો પર મહેરબાન રહેતા આવા અમુક ખાખીધારીઓને કારણે સમગ્ર ડિપાર્ટમેન્ટને બદનામી સહન કરવી પડતી હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી રહી છે.
અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં દારુ બેફામ છે અને તેની પાછળ ખુદ પોલીસ જવાબદાર હોવાને લઈને ડો. કલ્પેશ વોરા નામના વકીલે ધારાસભ્ય, કોર્પોરેટર સહિત ઘણા નેતાઓને સંબોધીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે દિનેશ કુશવાહા, ધારાસભ્ય દર્શના વાઘેલા, જાહ્નવી લુણાગરિયા, કોર્પોરેટર પંકજ પટેલ, મનીષા તીર્થરાજ, રાજકુમાર રાજપૂત, ચિરાગ ઠાકોર, ચંદ્રીકા પટેલ, અર્ચના મકવાણાને સંબોધ્યા છે.

તેમણે લખ્યું છે કે, આપ આ વિસ્તારના ધારાસભ્ય અને કોર્પોરેટર છો. તમારા વિસ્તારમાં શહેર કોટડા પોલીસ સ્ટેશનના વહીવટદાર મુકેશ ચૌધરી, ભરત પ્રજાપતિ દ્વારા રમેશ રાજપૂત (પ્રેમનગર), રાકેશ (બહુચરનગર), ભુરો મિઠાપાણીના દરવાજા (સરસપુર), જીતુ ઠાકોરવાસ (સરસપુર), ઈશરત ચાંદની પાન પાર્લર (ડીસ્ટાફ ઓફીસની પાસે), સિકંદર ડબ્બાગલી (ચાર તોડા કબરસ્તાન), દેંગો (સરસપુર) તેમજ રેલવે પ્લેટફોર્મ 12થી અસરફ દ્વારા ઈંગ્લીશ દારુ પુરા શહે કોટડા પોલીસ સ્ટેશનમાં નાખવામાં આવે છે.
તેમણે કહ્યું કે, આ વિસ્તારના જનપ્રતિનિધિ હોવાથી આપના વિસ્તારમાં બુટલેગરો દ્વારા ધંધા ચલાવવામાં આવે છે, જેમાં શહેર કોડડા પીઆઈ અને તેમના વહીવટદારો મુકેશ ચૌધરી, ભરત પ્રજાપતિ છે, આપ આ લોકો પર શું કાર્યવાહી કરાવશો? પૂર્વ કોર્પોરેટર અને ધારાસભ્યોએ કામ નથી કર્યા તેનું પરિણામ ચૂંટણીમાં તમે જનતાના આક્રોશથી જોયું છે. આશા છે, તમે આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરાવશો. આ પત્ર સાર્વજનિક કરું છું. જેથી મતદાતાઓ જનપ્રતિનિધિના કામ વિશે જાણે.








