તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ક્રિકેટ રસીકો અમદાવાદના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમથી પરિચીત જ હશે. સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) સંચાલિત સ્ટેડિયમ છે. જ્યાં ક્રિકેટની રમત રમવા માટે ભાડે સ્ટેડિયમ મેળવવા માટે ક્રિકેટ રસીકો ખાસી સંખ્યામાં હોય છે પણ આ ક્રિકેટ બુકિંગમાં કંઈક રંધાઈ જતુ હોય તેવું જણાઇ રહ્યું છે.
અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ બુકિંગને લઈ કેટલાક સવાલ પેદા થાય છે. ક્રિકેટની રમત-રમવા ઈચ્છતા લોકો મોટાભાગે શનિવાર અને રવિવારના દિવસે આયોજન કરતા હોય છે પણ આ દિવસોમાં કેટલાક ચોકક્સ લોકોની સિન્ડિકેટ ધાર્યા મુજબ રમત રમી પહેલથી જ બુકિંગ કરી ધંધો કરી જતા હોય તેવું જણાય છે.
સામાન્ય રીતે શનિવાર અને રવિવારે રજાનો માહોલ હોય આ દિવસો હોટ ફેવરિટ દિવસો ગણવામાં આવે છે. જેના કારણે આ દિવસોના બુકિંગ મેળવવા હોડ જામી હોય છે. આ સ્થિતીમાં બુકિંગની પ્રક્રિયા પર કેટલાક સવાલ પેદા થાય તેવી માહિતી મળી રહી છે. જેમાં સૌથી મોટું કારણ એ છે કે, શનિવાર અને રવિવારના દિવસોમાં કેટલાક ચોક્કસ વ્યક્તિઓના નામે જ બુકિંગ જોવા મળે છે.
આ બાબતે સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમના ઈન્ચાર્જ દિપેન ગાંધી સાથે મુલાકાત કરી વાતચીત કરતા તેઓ એ જણાવ્યું કે, સ્ટેડિયમ બુકિંગ કરવા માટે 6 મહિના પહેલા બુકિંગ થઈ શકે છે. જ્યારે શનિવાર અને રવિવારના દિવસોમાં વધારે બુકિંગ હોય રવિવારના દિવસનું બુકિંગ 7 મહિના પહેલા કરવામાં આવે છે. તેમજ આ બુકિંગ માટે ડ્રો સિસ્ટમથી બુકિંગ આપવામાં આવતું હોય છે.
7 મહિના પહેલા જ બુક કરવા ઈચ્છતા લોકને કેમ ખ્યાલ પડે કે તે દિવસે એક કરતા વધારે બુકિંગ હશે કે કેમ ? આ સવાલમાં ઈન્ચાર્જ દિપેન ગાંધી હાસ્યાસ્પદ જવાબ આપે છે કે, તે તમારે ધારી લેવાનું હોય. તેમજ સ્ટેડિયમ બુકિંગ કરવા માટે મહાનગરપાલિકાની કોઈ ગાઈડલાઈન છે કે કેમ તે પુછતા તેઓ એ કોઈ ગાઈડલાઈન નહીં હોવાનું જણાવ્યું હતુ.
હવે સવાલ એ ઉદભવે છે કે ડ્રો સિસ્ટમથી બુકિંગ અપાય છે તો શનિવાર અને રવિવારના દિવસોમાં બુકિંગ કેટલાક ચોક્કસ લોકોના જ નામે કેમ સામે આવે છે. વળી આ એક-બે કે પાંચ-દસ વખત સુધી અનાયાસે બને તેવું પણ જણાતું નથી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ચોક્કસ નામો જ જોવા મળે છે.
આ બાબતે મજબુત સુત્રો જણાવે છે કે આ બુકિંગની સિન્ડિકેટ કાર્ય કરે છે તેનું આ પરિણામ છે. સિન્ડિકેટ એક કરતા વધારે બુકિંગ ફોર્મ નાખી ડ્રો સિસ્ટમથી જ શનિવાર અને રવિવારના બુકિંગ મેળવી લેતા હોય છે. સિન્ડિકેટ સભ્યોના જ એક કરતા વધારે ફોર્મ હોવાથી તેમનું જ નામ ડ્રો માં આવે તેવું સામાન્ય ગણિત છે. બાદમાં આ સિન્ડિકેટ અન્ય કોઈ લોકોને આ દિવસોમાં બુકિંગ જોઈતુ હોય તો વધારે પૈસા પડાવી લેતા હોય છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બાબતે એક એન.ઓ.સી.ની પણ ‘ગોળી’ બુકિંગ ઈચ્છુકોને અપાઈ રહી છે. જેમાં બુકિંગ કરવા ઈચ્છતા લોકોને શનિ-રવિવારના દિવસે બુકિંગ ન મળે તો જેમના નામે બુકિંગ છે તેનો સંપર્ક કરી સુલેહ કરી એન.ઓ.સી. મેળવવા કહેવાય છે. પરંતુ ઈન્ચાર્જ દિપેન ગાંધીના જણાવ્યા અનુસાર કોઈ પણ એન.ઓ.સી. ની સિસ્ટમ છે જ નહીં. તેમજ કોઈ પણ વ્યક્તિ પોતાનું બુકિંગ અન્ય પાર્ટીને પૈસા મેળવીને કે એન.ઓ.સી. આપીને સોદાબાજી કરી શકે નહીં.
ત્યારે સવાલ એ પેદા થાય છે કે જો આ તરકટ પાછળ કોઈ સિન્ડિકેટ છે તો આજ સુધી સ્ટેડીયમ ઈન્ચાર્જ અને મહાનગરપાલિકા તંત્રને કેમ જાણ નથી થઈ. માની લઈએ કે જાણ બહાર ચાલતું કારસ્તાન છે તો હવે આ લેખના માધ્યમથી મહાનગરપાલિકા તંત્રને જાણ થઈ જશે. આ મામલે તપાસ થાય છે અને સિન્ડિકેટનું તરકટ ખુલ્લુ પાડવા મહાનગરપાલીકા તંત્ર કાર્ય કરશે કે કેમ એ તો સમય જ બતાવશે. મહત્વની વાત છે કે સ્ટેડીયમમાં કેટલીક સિન્ડિકેટ જેવી પૈસા બનાવવાની રમત બંધ કરાવવા માટે તંત્ર એ કાર્યવાહી કરવી જોઈએ.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












