નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં ફરી એકવાર પોલીસની ખાખી પર લાંચનો ધબ્બો લાગવાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ ઝઘડાના કેસમાં લોકઅપમાં નહીં રહેવા અને માર નહીં મારવા તેમજ બારોબાર કોર્ટમાં રજુ થવા માટે 50 હજારની માગણી કરી હતી. જોકે ફરિયાદીએ સમગ્ર ઘટનની જાણ એસીબીમાં કરતાં પોલીસની શાન ઠેકાણે આવી ગઈ છે. લાંચીયા પોલીસ કર્મીને 50 હજારની લાંચ એસીબીએ ઝડપી પાડીને ડિટેન કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ફરિયાદીને ગત 26 ઓક્ટોબર તારીખે અન્ય વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. જે અંગે ફરિયાદીએ 2 નવેમ્બરે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જોકે સામેવાળા વ્યક્તિએ પણ 13 નવેમ્બરના રોજ ફરિયાદી વિરૂદ્ધ ફરિયાદ આપી હતી અને પોલીસ સ્ટેશનમાં હાજર થઈને જામીન મેળવી લીધા હતા. ત્યારબાદ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ અનિલ કુમાર રામઆશરે શુક્લાએ ફરિયાદીને ફોન કરીને કહ્યું હતુ કે, તારા સામે ફરિયાદ દાખલ થઈ છે, જેથી પોલીસ સ્ટેશન આવીને મને મળી જવું. ફરિયાદી પોલીસકર્મીને મળવા જતાં જણાવ્યું હતું કે, તારે લોકઅપમાં ન રહેવુ હોય અને માર ન ખાવો હોય તેમજ બારોબાર કોર્ટમાં રજુ થવુ હોય તો તારે ૫૦ હજાર આપવા પડશે.
ફરિયાદી લાંચની રકમ ન આપવા માગતો હોવાથી સમગ્ર બનાવ અંગે ફરિયાદ એસીબીમાં કરી હતી. ફરિયાદના આધારે એસીબીના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઇન્સપેક્ટર આર.આઇ.પરમાર દ્વારા નારણપુરા પોલીસ સ્ટેશનની સામે ફુટપાથ ઉપર લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન એ.એસ.આઇ અનિલ કુમાર ફરિયાદી પાસેથી 50 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. લાંચ લેતા ઝડપાઈ જતા એસીબીએ પોલીસકર્મીને ડિટેઈન કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








