નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદ અને બોટાદ ખાતે ઝેરી દારુ પીધા પછી લોકો ટપોટપ મોતને ભેટવા લાગ્યા જે ઘટનાએ ગુજરાતમાં ભારે ઉહાપોહ મચાવ્યો છે. આ ઘટનામાં એક તરફ જ્યાં વિપક્ષ લોકોના ન્યાયની માગ કરવામાં લાગ્યું છે તો બીજી તરફ સરકાર લોકોના લોહીના છાંટાથી છબી ખરડાય તે પહેલા તેની નક્કર કાર્યવાહી કરવામાં લાગી છે. દરમિયાનમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક જ્યોતિ પટેલને તપાસ સોંપવામાં આવી છે.
બોટાદના લઠ્ઠાકાંડ અંગે બરવાળા અને રાણપુર પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયા છે. અમદાવાદના લઠ્ઠાકાંડ અંગે ધંધુકા પોલીસ મથકે એક ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનામાં અત્યાર સુધી 56થી વધુ લોકોના મોત થયા છે. ઘટના પછી અમદાવાદ જિલ્લા એસપી વિરેન્દ્ર યાદવ અને બોટાદ જિલ્લા એસપી કરણરાજ વાઘેલાની બદલી કરવામાં આવી જ્યારે 2 ડીવાયએસપી, 2 પીએસઆઈ, 2 પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. જોકે અહીં બાબત એ હતી કે લઠ્ઠાકાંડમાં હજુ પણ ઘણા આરોપ પ્રતિઆરોપ થઈ રહ્યા હતા, લોકો આ ઘટનામાં જેટલા બુટલેગરને ભાંડતા હતા તેટલા જ પોલીસને પણ, જેના કારણે તેની તટસ્થ તપાસ થવી વધુ જરૂરી બનતી જતી હતી. આ દરમિયાનમાં સરકાર દ્વારા આ તપાસને એક તટસ્થ તપાસ તરીકે કોઈ આંગળી ચિંધી ન શકે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો અને તપાસમાં અમદાવાદ જિલ્લાના લઠ્ઠાકાંડની તપાસ જ્યોતિ પટેલને સોંપવામાં આવી જેઓ અગાઉ અમદાવાદના મનપસંદ જીમખાના ચકચારી કેસની તપાસમાં હતા. ઉપરાંત બંને જિલ્લાના લઠ્ઠકાંડની તપાસ નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી કે જેઓની ગણતરી પ્રામાણિક અધિકારીઓમાં થાય છે.








