નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શોભાયડા ગામે ૧૧ વર્ષ અગાઉ પિતાની હત્યા કરનાર ઝનૂની હત્યારાએ સજા પૂર્ણ કરી ઘરે આવ્યા પછી તેના કૌટુંબીક ભત્રીજાની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. સનકી હત્યારાએ તેના અન્ય કૌટુંબીક પરિવારમાં પણ ભારે ઉત્પાત મચાવ્યો હતો. હત્યારાએ તેના ભાઈને પણ પતાવી દેવાની ધમકી આપતા ભારે ચકચાર મચી છે. શોભાયડા ગામે કાકાએ ભત્રીજાની હત્યા કરતા શામળાજી પોલીસ તાબડતોડ શોભાયડા પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
શોભાયડા ગામના અને હાલ અમદાવાદ રહેતા રમેશભાઈ કોદરભાઈ કટારાનો મોટો પુત્ર હિમાંશુ ખેતી કામ માટે અને નવું મકાન બનતું હોવાથી છેલ્લા ૬ મહિનાથી શોભાયડા રહેતો હતો. તેમની બાજુમાં ૧૧ વર્ષ અગાઉ તેની પિતાની હત્યા કરી જેલની સજા ભોગવી આવેલો કૌટુંબીક ભાઈ મગન ખાતુભાઇ કટારા રહેતો હતો. રમેશભાઈના ઘરે તે કામકાજ કરતો હતો. મંગળવારે ઝનૂની હત્યારાએ અગમ્ય કારણોસર તેના ભત્રીજા હિમાંશુને બોથડ પદાર્થ ઝીંકી હત્યા કરી નાખી અને તેમના કૌટુંબીક ઘરમાં તોડફોડ કરતા ભારે ચકચાર મચી હતી. હિમાંશુની હત્યા થઇ હોવાની જાણ તેના પિતા રમેશભાઈને થતા તાબડતોડ ઘરે પહોંચતા મગન કટારા તેમને પણ ધારિયું લઈ મારવા દોડતા જીવ બચાવી ઘરમાં સંતાઈ ગયા હતા. હત્યારાએ જતા જતા તમને પણ પતાવી દેવાની ધમકી આપી હતી. શામળાજી પોલીસને આ મામલે જાણ કરતા પોલીસ દોડી આવી હતી. શામળાજી પોલીસે રમેશભાઈ કોદરભાઈ કટારાની ફરિયાદના આધારે મગન ખાતું કટારા સામે હત્યાનો ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












