નવજીવન ન્યૂઝ. અમદાવાદ: 8મી માર્ચને સમગ્ર વિશ્વમાં મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, આમ તો મહિલાનું સન્માન થવું તે એક દિવસ પૂરતું સીમિત નથી આ પ્રક્રિયા એક નિયમિત અને સહજ પ્રક્રિયા હોવી જોઈએ. તેમ છતાં કેટલાક લોકો મહિલાઓનું સન્માન અને સમાજમાં મહિલાઓનું મહત્વ સમજતા નથી. ગઈકાલે મહિલા દિવસે જ અમદાવાદમા એક નિર્દયી વ્યક્તિએ પોતાની ભુતપૂર્વ પ્રેમિકાનું રસ્તા વચ્ચે છરીના ઘા મારીને હત્યા કરી હતી. આ અંગે મહિલાના પતિએ મધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉ સુરતમાં પણ ગ્રીષ્મા નામની યુવતીની પણ આવી જ રીતે હત્યા કરવામાં આવી હતી, જેમાં હજુ પરિવારના આંસુ સુકાયા નથી ત્યારે અમદાવાદમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
પોલીસ ફરિયાદમાં મહિલાના પતિએ જણાવ્યુ હતું કે, “અમે છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવીએ છે, અમારે એક સંતાન છે. મારી પત્નીને અગાઉ નરેશ રાઠોડ નામના વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હતા, જે હવે મારી પત્ની રાખવા માગતી ન હતી. જેના કારણે આ નરેશ રાઠોડ નામનો વ્યક્તિ વારંવાર મારી પત્નીને બોલાવતો હતો પણ મારી પત્ની તેને મળતી ન હતી. 8 તારીખે સાંજે જ્યારે હું મારા કામ પરથી ઘરે જય રહ્યો હતો તે દરમિયાન મને મારા મામાએ જણાવ્યુ કે તારી પત્નીને કોઈએ પેટના ભાગે છરીના ઘા મારીને હત્યા કરી છે. ત્યાર બાદ હું મારા મામા સાથે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે મારી પત્ની લોહીલુહાણ હાલતમાં રસ્તા ઉપર પડી હતી. ત્યાં એક બહેને મને જણાવ્યુ હતું કે નરેશ રાઠોડ મારી પત્નીને છરીના ઉપરાઉપર ઘા મારીને હત્યા કરીને ત્યાંથી ભાગી ગયો છે. જેથી મે કંટ્રોલરૂમમાં ફોન કરીને આ અંગે જાણ કરી હતી.”
એક તરફી પ્રેમમાં પ્રેમીએ પૂર્વ પ્રેમિકાની પોલીસ સ્ટેશનથી થોડા અંતરે જ રસ્તા વચ્ચે આવી હત્યા કરી દેતા તેવું લાગી રહ્યું છે કે જાણે લોકોમાં હવે પોલીસનો કોઈ ખૌફ જ રહ્યો નથી. જો કે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને મૃતક મહિલાને છેલ્લા 13 વર્ષથી સંબંધ હતો અને ગયા વર્ષે દિવાળી બાદ મહિલાએ આરોપી સાથે સંબંધ રાખવાની ના પડતાં આરોપીએ આ વાતની અંગત અદાવત રાખીને હત્યા કરી હતી.
આરોપીની ધરપકડ બાદ આજે અમદાવાદ પોલીસ ઝોન 2ના ડીસીપી વિજયકુમાર પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. ડીસીપી વિજયકુમાર પટેલે જણાવ્યુ હતું કે, ” ગઇકાલે એક મહિલાની છરી મારીને હત્યા કરવામાં આવી હતી, જેના આરોપીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે, તપાસમાં પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી અને મૃતક મહિલાને છેલ્લા 13 વર્ષથી એકબીજા સાથે પ્રેમસંબંધ હતો, જે ગયા વર્ષે દિવાળી બાદ મૃતક મહિલાની દીકરીની સગાઈ થયા પછી મહિલાએ સંબંધ રાખવાની ના પડતાં આરોપીને માઠુ લાગ્યું હતું. ત્યાર બાદ તેને અવારનવાર મહિલાને મનાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ મહિલાએ કોઈ પ્રતિસાદ ન આપતા તેને મહિલાની હત્યા કરી હતી. હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જેની પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને સર્વેલન્સ ગોઠવીને ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીને કોર્ટમાં હજાર કરીને આગામી સમયમાં કડકમાં કડક સજા થાય તેવો અમે પ્રયત્ન કરીશું.”
મૃતક મહિલાના પતિ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે આરોપીની ધરપકડ થઈ ગયા બાદ હવે અમારી એક જ માગ છે કે આરોપીને ફાંસીની જ સજા થવી જોઈએ. મારી પત્ની તો જતી રહી તે હવે પછી આવવાની નથી, પરંતુ સમાજમાં આવી ઘટના ફરી ન બને તે માટે અમે સરકાર અને ન્યાયતંત્રને અપીલ કરીએ છે કે આ આરોપી નરેશ રાઠોડને ફાંસીની જ સજા થવી જોઈએ.

![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












