નવજીવન ન્યૂઝ. વિજયપુરા: કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ વચ્ચે શુક્રવારે વિજયપુરા શહેરના ઇન્ડી ટાઉનમાં કપાળ પર તિલક લગાવીને પહોંચેલા એક વિદ્યાર્થીને કોલેજ કેમ્પસમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેને તિલક દૂર કરવા પણ કહેવામાં આવ્યું હતું. કોલેજના અદ્યાપકોએ તેમને ગેટ પર રોક્યા અને કોલેજમાં પ્રવેશતા પહેલા તિલકને દૂર કરવા કહ્યું. વિદ્યાર્થીને જણાવ્યું હતું કે, કપાળ પર રૂઢિગત તિલક લગાવીને કોલેજમાં આવવાથી હિજાબ અને કેસરી શાલ જેવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
રાજ્યમાં હિજાબ વિવાદને ધ્યાનમાં રાખીને કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશ અને રાજ્ય સરકારના આદેશ મુજબ હિજાબ અને ભગવા શાલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, આ આદેશો કપાળ પર તિલક લગાવવાની મનાઈ કરતા નથી.
રાજ્ય સરકારના આદેશને હાઇકોર્ટમાં પડકારનાર મુસ્લિમ યુવતીઓના વકીલોએ સુનાવણી દરમિયાન દલીલ કરી હતી કે, હિજાબ પહેરવું એ ધાર્મિક પ્રથા છે, જેમ કે કપાળ પર સિંદૂર લગાવવું કે તિલક કરવું, બંગડીઓ પહેરવી. શીખો દ્વારા પાઘડી અને રુદ્રાક્ષ વગેરે પહેરવા પણ ધાર્મિક પ્રથાનો એક ભાગ છે.
આ પહેલા શુક્રવારે એક કોલેજના લેક્ચરરે આ વિવાદને લઈને રાજીનામું આપી દીધું હોવાના સમાચાર આવ્યા હતા. તુમાકુરુની એક ખાનગી પ્રિ-યુનિવર્સિટી કોલેજના ગેસ્ટ લેક્ચરરને હિજાબ અથવા અન્ય કોઈ ધાર્મિક પ્રતીક પહેરવાનો કથિત ઇનકાર કર્યા બાદ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. છેલ્લાં ત્રણ વર્ષથી અંગ્રેજી ભાષાની ગેસ્ટ લેક્ચરર તરીકે કામ કરતી ચાંદનીએ પત્રકારોને જણાવ્યું હતું કે હિજાબ પહેર્યા વિના કે અન્ય કોઈ ધાર્મિક પ્રતીક દર્શાવ્યા વિના ક્લાસ લેવાનું કહેવામાં આવતાં હું પરેશાન છું. જો કે કોલેજ મેનેજમેન્ટે આ આરોપોને નકારી કાઢતાં કહ્યું હતું કે આવું કશું થયું નથી.
મહિલાએ આરોપ લગાવ્યો કે કોલેજના પ્રિન્સિપાલે તેને ફોન કર્યો અને કહ્યું કે તેને આદેશ મળ્યો છે કે કોઈને પણ હિજાબ પહેરીને અથવા અન્ય કોઈ ધાર્મિક પ્રતીક પ્રદર્શિત કરીને વર્ગખંડમાં ભણાવવાની મંજૂરી ન આપવી. “હું છેલ્લાં ત્રણ વર્ષથી હિજાબ પહેરીને ભણાવું છું, પરંતુ આ સૂચનાઓથી મારા આત્મસન્માનને ઠેસ પહોંચી છે. તેથી જ મેં રાજીનામું આપ્યું છે કારણ કે હું હિજાબ પહેર્યા વિના કોલેજમાં કામ કરી શકતી નથી.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












