Gandhinagar Municipal Elections: ગાંધીનગરમાં આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસે કમર કસી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડા દ્વારા અહીં ગાંધીનગરમાં હોદ્દેદારો સાથે મીટિંગ યોજવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન તેમની રણનીતિ અંગે વાતચિત અને ચર્ચાઓ કરવામાં આવી હતી. જેને લઈને બેઠક પછી તેમણે પત્રકારો સાથે વાતચિત કરી હતી.
તેમણે પત્રકારોને જાણકારી આપી હતી કે ભાજપ સરકારના શાશનમાં ગાંધીનગરની જનતા ખુબ હેરાન પરેશાન થઈ છે. ગેર વહીવટ અને ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા.
છેલ્લા પાંચ વર્ષમાં ગાંધીનગર જેવા શહેરમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બન્યો હોય તેવું છે. એક પણ કામ પૈસા આપ્યા વગર થતા નથી. બધા જ લોકોની એક જ ફરિયાદ છે કે જ્યાં સુધી પૈસા ના આપીએ ત્યાં સુધી કામ થતા નથી. વહીવટમાં પણ ગેરવહીવટ થતો હોય છે.
તેમણે કહ્યું કે, ગાંધીનગરમાં અવ્યવસ્થાઓ ઊભી થઈ, વ્યાપક ફરિયાદો છે. લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. મૂળ અહીંના ખેડૂતો કે જેમણે ગાંધીનગર વસાવવા માટે પોતાની જમીન આપી તેમના પણ ઘણા પ્રશ્નોનું નિરાકરણ નથી. લોકો ત્રસ્ત છે.
તેમણે વધુમાં કહ્યું કે, ગાંધીનગરની કોર્પોરેશનની ચૂંટણી, આવવાની છે ત્યારે અમારું સંગઠન બીલકુલ તૈયાર છે. લોકોના ઘર સુધી જઈ તેમના મુદ્દાઓ પર વાત કરીશું. ગાંધીનગરની જનતાએ અગાઉ પણ નરેન્દ્ર મોદીની સરકાર હોય કે આનંદીબેન પટેલની હોય નેતાઓને અરીસ્સો બતાવ્યો છે. આવતી ચૂંટણીમાં ગાંધીનગરની જનતા સરકારને અરીસ્સો બતાવશે તેવી ખાતરી છે.








