Dean on leave after Surat ragging case : ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલ (Dr. Harsh Pandya suicide case Surat) અને તેના સત્તાવાળાઓ રેગિંગને લઈને ભારે ચર્ચામાં છે. રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આત્મહત્યા કેસમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા (Praful Pansheriya) એ આપેલા તપાસના આદેશમાં મહિલા ડૉક્ટરો દ્વારા રેગિંગ થતું હોવાની માહિતી સામે આવી છે અને તપાસ રિપોર્ટના આધારે ખટોદરા પોલીસે ગુનો પણ નોંધ્યો છે. રેગિંગ અને આત્મહત્યાનો મામલો હજુ થાળે નથી પડ્યો તેની વચ્ચે સિવિલ મેડિકલ કોલેજના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ (Dr. Jayesh Brahmabhatt Dean) અચાનક રજા પર ઉતરી ગયા છે. જેને લઈને તરેહ તરેહની ચર્ચાઓ થવા લાગી છે.
બુધવારે 12 ઓગસ્ટના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને એન્ટી રેગિંગ કમિટીએ તપાસ રિપોર્ટ સોંપી દીધો હતો. આ રિપોર્ટ સોંપાયા બાદ મેડિકલ કોલેજના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ રજા પર ચાલ્યા ગયા છે. નવી સિવિલ હોસ્પિટલમાં સીનિયર ડૉકટરો દ્વારા જુનિયરોનું રેગિંગ કરવામાં આવતું હોવાની ફરિયાદો મળી હોવા છતાં હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ અને અન્ય સત્તાધીશોએ કોઈ યોગ્ય પગલાં લીધા ન હતા. જેના કારણે 30 વર્ષીય ડૉ. હર્ષ પંડ્યાને જીવ ગુમાવવો પડ્યો છે. કમિટીએ સોંપેલા રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેના પગલે જવાબદાર તબીબો અને તંત્ર સામે કાયદાકીય સકંજો કસાવાની શક્યતા છે.
આ ઉપરાંત મેડિકલ કોલેજમાં રેગિંગ અને ગંભીર ફરજચૂક, દુષ્પ્રેરણા અને નિષ્ફળતા બદલ કોલેજના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ, માઈક્રોબાયોલોજી વિભાગના HOD અને હોસ્ટેલ સુપ્રિટેન્ડન્ટ સામે કાર્યવાહી કરવા આરોગ્ય મંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ છે.








