નવજીવન ન્યૂઝ.ઉનાઃ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના નવાપરા ગામે એક દીપડો ખુલ્લા કુવામાં ખાબકતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ડારી નવાપરા બીટ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ખેડૂત માલાભાઈ રામાભાઈ ડોડીયાના કુવામાં અંદાજે 0 થી 1 વર્ષની ઉમરનો દીપડો પડી ગયો હતો. સદનસીબે સમયસર જાણ થતાં વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ખેડૂત માલાભાઈ ડોડીયાના ખુલ્લા કુવામાં દીપડો પડી ગયો હોવાની જાણ થતાં ગામમાં ભારે ચકચાર મચી ગઈ હતી. કૂવા માલિકે તરત જ વેરાવળ વન વિભાગને જાણ કરી હતી. જાણ મળતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને જરૂરી સાધનો સાથે રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી.
વન વિભાગ દ્વારા સાવચેતીપૂર્વક હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન દીપડાને કોઈ ઈજા પહોંચે નહીં તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી. આખરે સફળ રેસ્ક્યૂ કરીને દીપડાને સુરક્ષિત રીતે કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને વધુ સારવાર અને નિરીક્ષણ માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
વન વિભાગની ઝડપી કામગીરીને કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. હાલ દીપડાની તબિયત પર નજર રાખવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.








