Saturday, September 19, 2026
HomeNational30 વર્ષ બાદ પકડાયેલા હત્યા કેસના આરોપીને રાહત, માનસિક સ્થિતિને કારણે ટ્રાયલ...

30 વર્ષ બાદ પકડાયેલા હત્યા કેસના આરોપીને રાહત, માનસિક સ્થિતિને કારણે ટ્રાયલ શક્ય નહીં: રાજસ્થાન હાઈકોર્ટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ નેટવર્ક.જોધપુરઃ રાજસ્થાન હાઈકોર્ટે હત્યાના એક કેસમાં 30 વર્ષ સુધી ફરાર રહેલા અને બાદમાં ઝડપાયેલા આરોપીને મહત્વપૂર્ણ રાહત આપતા ટ્રાયલ કોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. અદાલતે માન્યું છે કે આરોપી ડિમેન્શિયા જેવી ગંભીર માનસિક બીમારીથી પીડાઈ રહ્યો છે અને તે કોર્ટની કાર્યવાહી સમજવા કે તેમાં ભાગ લેવા માટે સક્ષમ નથી.

જસ્ટિસ અનુપ કુમાર ઢાંઢની બેન્ચે જણાવ્યું હતું કે નિષ્પક્ષ સુનાવણીનો અધિકાર બંધારણના અનુચ્છેદ 21 હેઠળ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. જો કોઈ આરોપી માનસિક રીતે સક્ષમ ન હોય, તો તેની સામે ફોજદારી કેસ ચલાવવો ન્યાયના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાય.

- Advertisement -

અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ આરોપી પર ત્યાં સુધી કેસ ચલાવી શકાય નહીં, જ્યાં સુધી તે સ્વસ્થ માનસિક સ્થિતિમાં હોવાનું પ્રમાણિત ન થાય. કોઈ વ્યક્તિને તેની વાત સાંભળ્યા વગર દોષિત ઠેરવી શકાય નહીં.

આ મામલો વર્ષ 1994માં નોંધાયેલા હત્યાના કેસ સાથે જોડાયેલો છે. ઘટનાના બાદ આરોપી અંદાજે 30 વર્ષ સુધી ફરાર રહ્યો હતો અને વર્ષ 2024માં તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ સમયે તેની માનસિક સ્થિતિ સામાન્ય હોવાનું જણાવાયું હતું.

જોકે બાદમાં આરોપીના પુત્રએ અદાલતમાં અરજી કરીને દાવો કર્યો હતો કે તેના પિતા ડિમેન્શિયાથી પીડાઈ રહ્યા છે અને કોર્ટની કાર્યવાહી સમજવા માટે સક્ષમ નથી.

- Advertisement -

ટ્રાયલ કોર્ટે આ અરજી સ્વીકારીને આરોપીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયને પડકારતી અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે આ અરજી સમય પહેલાં દાખલ કરવામાં આવી હતી, કારણ કે તે સમયે આરોપ નક્કી થયા ન હતા અને ટ્રાયલ પણ શરૂ થયો ન હતો.

સુનાવણી દરમિયાન રાજસ્થાન હાઈકોર્ટે મેડિકલ બોર્ડ રચવાનો આદેશ આપ્યો હતો. મેડિકલ રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે આરોપી ડિમેન્શિયાથી પીડાઈ રહ્યો છે, કોર્ટની કાર્યવાહી સમજવામાં અસમર્થ છે અને ભવિષ્યમાં તેની સ્થિતિમાં સુધારો થવાની શક્યતા પણ ખૂબ ઓછી છે.

આ રિપોર્ટના આધારે હાઈકોર્ટે કહ્યું હતું કે કોઈ એવા વ્યક્તિ સામે ફોજદારી કેસ ચલાવી શકાય નહીં, જે માનસિક રીતે ટ્રાયલનો સામનો કરવા લાયક ન હોય. આરોપીમાં આરોપો સમજવાની, કાર્યવાહી અનુસરવાની અને પોતાનો બચાવ રજૂ કરવાની માનસિક ક્ષમતા હોવી જરૂરી છે.

- Advertisement -

અદાલતે આ દલીલ પણ ફગાવી દીધી હતી કે અરજી સમય પહેલાં કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે જ્યારે આરોપીની માનસિક અસમર્થતા સ્પષ્ટ રીતે સ્થાપિત થઈ ચૂકી છે, ત્યારે આરોપ નક્કી થવાની રાહ જોવી માત્ર ઔપચારિકતા જ ગણાય.

હાઈકોર્ટે આરોપીની મુક્તિનો નિર્ણય યથાવત રાખતાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને આદેશ આપ્યો છે કે દર વર્ષે આરોપીની તબીબી તપાસ કરાવવામાં આવે. જો ભવિષ્યમાં આરોપી કોર્ટની કાર્યવાહી સમજવા માટે સક્ષમ હોવાનું સામે આવે, તો તેની જાણ ટ્રાયલ કોર્ટને કરવામાં આવે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular