નવજીવન ન્યૂઝ, અમદાવાદ : Ahmedabad Crime Branch એ ગંભીર અપરાધમાં સજા પામેલા અને 12 વર્ષથી પોલીસને ચકમો આપી રહેલા એક શાતિર ગુનેગારને પકડ્યો (Escaped death row prisoner caught) છે. હત્યા-લૂંટ કેસમાં ફાંસીની સજા પામેલા તેમજ નકલી ચલણી નોટોના કેસમાં સંડોવાયેલો અપરાધી એક દસકાથી અમદાવાદમાં રહેતો હતો અને ફાયનાન્સનો ધંધો પણ કરતો હતો. સતીશ રૂપારેલિયા ઉર્ફે સંજય ઠક્કરે પોલીસને ચકમો આપવા તેના સરકારી દસ્તાવેજોમાં નામ બદલાવી દીધું અને તેના માટે તેણે 9 વર્ષ અગાઉ ગેજેટમાં નામ પણ બદલાવી નાંખ્યું. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીઆઈ નિખિલ આર.બ્રહ્મભટ્ટ (PI N R Brahmbhatt) ની ટીમને શાતિર અપરાધી સુધી પહોંચવા અનેક દિવસોની મહેનત લાગી છે.
વેપારીની હત્યા કરી માથું કાપી નાંખ્યું
વાત કરીએ, પકડાયેલા અપરાધી સતીશ હિંમતલાલ રૂપારેલિયા ઉર્ફે સંજય ઠક્કર ઉર્ફે ભીખુની. સતીશ રૂપારેલિયાએ 22 ઑક્ટોબર 1994માં અમદાવાદમાં આવેલી નિલમ હૉટલમાં કાપડના એક વેપારીને ડિસ્કાઉન્ટની લાલચ આપી બોલાવી તેની હત્યા કરી નાંખી લૂંટ ચલાવી હતી. વેપારીની ઓળખ ના થાય તે માટે સતીશે માથું ધડથી અલગ કરી શહેરની બહાર લઈ ગયો હતો. પોલીસે આ કેસમાં તેની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો. વર્ષ 2000માં અદાલતે સતીશ રૂપારેલિયાને ફાંસીની સજા (Satish Rupareliya sentenced to death) ફરમાવી હતી. જેલવાસ ભોગવી રહેલા સતિશ ભાગી છૂટવા માટે વર્ષ 2003માં પેરોલ રજા મેળવી તે જમ્પ કરી હતી.
ફાંસીની સજાનો આરોપી નકલી નોટોના કેસમાં પકડાયો
પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયેલા સતીશ રૂપારેલિયાએ સાગરિતો સાથે મળીને નકલી ચલણી નોટોનું કૌભાંડ આચર્યું હતું. જે કેસનો ભેદ દરિયાપુર પોલીસે ઉકેલી કાઢતા અન્ય આરોપીઓની સાથે સતીશની પણ ધરપકડ થઈ હતી. સતીશ પકડાયો ત્યારે તે 5 વર્ષથી પેરોલ જમ્પ કરીને નાસતો ફરતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સતીશની ધરપકડ કરી તેને ફરી જેલમાં ધકેલી દેવાયો હતો.
પોલીસથી બચવા ગેજેટમાં નામ બદલ્યું, પરિવારનો સંપર્ક કાપી નાંખ્યો
જેલમાં ધકેલી દેવાયેલા સતીશ રૂપારેલિયા ફરી કેવી રીતે બહાર નીકળવું તેના પ્રયાસમાં લાગી ગયો હતો. વર્ષ 2014માં સતીશને પેરોલ મુક્તિ મળી અને તે ભૂર્ગભમાં ઉતરી ગયો. ફરી પાછું જેલમાં જવું નથી તેવું વિચારીને સતીશે તેના પરિવાર સાથેના સંપર્કો કાપી નાંખ્યા. અમદાવાદના વાડજમાં રહેતો સતીશ (મૂળ રહે. અમરેલી) થોડાક સમય શહેરની બહાર રહ્યો અને પછી પાછો કરી ન્યૂ રાણીપમાં સ્થાયી થઈ ગયો. વર્ષ 2017માં સતીશ રૂપારેલિયાએ સરકારી ગેજેટમાં પોતાનું નામ બદલીને સંજય ઠક્કર કરી નાંખ્યું અને બીજા લગ્ન પણ કરી લીધા. સંજય ઠક્કર અમદાવાદમાં જાતભાતના ધંધા કરીને ધનવાન બની ગયો અને પશ્ચિમ અમદાવાદના પ્રહલાદનગરમાં ફાયનાન્સનો ધંધો પણ શરૂ કરી દીધો.








